Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સ્વાઇન ફલૂથી વધુ બે મોતઃ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ કુલ મૃત્યુ આંક ૧૦ થયો

માણાવદરના બુરીગામના ૬૦ વર્ષના વૃધ્ધા અને જુનાગઢના ૫૩ વર્ષના પ્રોૈઢનો ભોગ લેવાયો

રાજકોટ તા. ૨૨: સ્વાઇન ફલૂએ વધુ બે દર્દીનો ભોગ લીધો છે. સિવિલ હોસ્પિટલમાં  માણાવદરના બુરી ગામના પટેલ વૃધ્ધાનો અને ગિરીરાજ હોસ્પિટલમાં જુનાગઢના પટેલ પ્રોૈઢનો ભોગ લેવાયો છે.

આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ બુરી ગામના ૬૦ વર્ષના વૃધ્ધાને છએક દિવસ પહેલા તાવ આવતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સ્વાઇન ફલૂ પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આજે સવારે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. સિવિલમાં આજે ચાર દર્દી પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં છે અને બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે.

બીજી તરફ ગિરીરાજ હોસ્પિટલમાં જુનાગઢના ૫૩ વર્ષના પ્રોૈઢને ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ પણ પોઝિટીવ હતો. તેમણે આજે સવારે દમ તોડી દીધો છે. ખાનગી અને સિવિલમાં હવે કુલ ૧૨ દર્દી સારવાર હેઠળ છે. આ વર્ષનો કુલ મૃત્યુઆંક ૧૦ થયો છે.

(2:47 pm IST)