Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ઓમનગરમાં ૧૯ વર્ષની ગુર્જર કુંભાર યુવતિ આરતીનો ફાંસો ખાઇ આપઘાત

માતા સ્વાધ્યાયમાંથી ઘરે પહોંચ્યા ત્યારે દિકરીએ દરવાજો ન ખોલ્યો, પડોશીને બોલાવી દરવાજો તોડ્યો ત્યાં દિકરી લટકતી મળી

રાજકોટ તા. ૨૨: મવડી ૪૦ ફુટ રોડ ગિરનાર સોસાયટી ઓમનગરમાં રહેતી આરતી ચમનભાઇ કુરીયા (ઉ.૧૯) નામની ગુર્જર કુંભાર યુવતિએ સાંજે ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાતના બનાવની જાણ ૧૦૮ના ઇએમટી હિરેનભાઇ પટેલ મારફત થતાં તાલુકા પોલીસ મથકના જયદિપસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર આરતી એક ભાઇથી મોટી હતી. તેના પિતા ચમનભાઇ પરષોત્તમભાઇ કંપનીમાં નોકરી કરે છે. માતા શારદાબેન પડોશમાં સ્વાધ્યાયમાં ગયા હતાં. ત્યાંથી પરત આવ્યા ત્યારે દિકરી આરતી દરવાજો ખોલતી ન હોઇ પડોશીને બોલાવી દરવાજો તોડીને જોતાં અંદર તે લટકતી જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો. ૧૦૮ બોલાવાઇ હતી પણ ત્યારે મોડુ થઇ ગયું હતું. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. અગાઉ આરતીનું સગપણ થયું હતું પણ બાદમાં તૂટી ગયું હતું. યુવાન દિકરીના આ પગલાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

 

(11:43 am IST)