Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

હેલ્મેટનો મુદ્દો આવતી ચુંટણીઓમાં ભાજપને જરૂરને જરૂર ડૂબાડશે જ

હેલ્મેટ ફરજીયાત જ કેમ?: કારમાં ફરવાવાળા મંત્રીઓ અને અધિકારીઓને ટુ વ્હીલર વાહનચાલકોની વ્યથા કયાંથી સમજાય : શિક્ષણ-આરોગ્ય કે બેરોજગારી ઉપર ધ્યાન આપો તો ગુજરાતમાં રામ રાજય આવી જાય

પ્રમુખ શ્રી,

ભારતીય જનતા પાર્ટી,

રાજકોટ શહેર,

રાજકોટ

કુશળ હશો, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફીકના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે તેનુ અમલીકરણ ગુજરાત સરકારે કર્યુ છે. આજની તારીખે ટ્રાફીક અંગે પ્રવર્તતી સમસ્યામાં મોટાભાગના ટ્રાફીકના કાયદાઓ યોગ્ય જ લાગે છે પરંતુ શહેરી વિસ્તારમાં મધ્યમવર્ગીય ટુ વ્હીલર વાહન ચાલકો માટે ફરજીયાત હેલ્મેટનો કાયદો આર્થિક તેમજ અન્ય રીતે થોડો વધુ પડતો આકરો લાગી રહ્યો છે.

હેલ્મેટ મુદ્દે લોકો તરફથી જે પ્રત્યાઘાત આવી રહ્યા છે તે તદન વાસ્તવિક છે. સરકાર હેલ્મેટ મુદ્દે જે પ્રકારનું વલણ અખત્યાર કરી રહી છે તેવુ વલણ જો શિક્ષણ આરોગ્ય કે બેરોજગારી માટે રાખે તો ગુજરાતમાં રામરાજય આવી જાય. લોકોની વ્યકિતગત સુરક્ષાની જવાબદારી સરકારને લેવી જ હોય તો એવા ઘણા કામો છે જે સરકાર ઘણા વહેલા કરવા જોઇતા હતા. વાહન ચાલકો પુખ્ત છે. સમજદાર છે દરેકને પોતાની સલામતીની ચિંતા હોય જ. ત્યારે સરકાર શા કારણે ફરજીયાત હેલ્મેટ પહેરાવવા કટીબધ્ધ છે તે સમજાતુ નથી. સરકાર અપીલ કરી શકે, લોકોને સમજાવી શકે પરંતુ હેલમેટનો પ્રયાસ ફરજીયાત શું કામ ? કારમાં ફરવાવાળા (મંત્રીશ્રીઓ - અધિકારીઓ) અને મધ્યમવર્ગીય ટુ વ્હીલર વાહનચાલકોની વ્યથા કયાંથી સમજાય?

હેલ્મેટ સાથે ઘણા વાસ્તવિક પ્રશ્નો જોડાઇ જતા હોય છે. શહેરી વિસ્તારમાં ટ્રાફીક અને રોડની સ્થિતિ એવી જ છે કે અકસ્માત થાય એટલી ટુ વ્હીલરની સ્પીડ જ નથી થઇ શકતી આ વાસ્તવિકતા છે.

હેલ્મેટના મુદ્દે સરકાર તેના વલણમાં ફેરફાર કરે, ફેરવિચારણા કરે તે અપેક્ષીત છે. ઇચ્છનીય છે, શહેરી વિસ્તારમાં હેલમેટ મુદ્દે રાહત આપે તે લોકલાગણી અને લોકમાંગણી છે.

ટ્રાફીકના અન્ય કાયદા માટે કોઇને કઇ પણ વાંધો નથી. હોઇ જ ન શકે પરંતુ હેલમેટ મુદ્દે ફેરવિચારણા જરૂરી છે. લોકો માટે અને સરકાર માટે પણ !

લોકમુખે ચર્ચાતી વાતો પ્રમાણે જો સરકાર આ મુદ્દે ફેરવિચારણા નહિ કરે તો તેની અસર વોટબેંક પર જરૂર પડી શકે છે. કદાચ ગુજરાતમાં સક્ષમ વિરોધપક્ષ ન હોવાને કારણે શાસકપક્ષ નચિંત હોય તે સ્વાભાવિક છે પરંતુ જો દિલ્હીમાં એક આઇઆઇટી વ્યકિત કોઇપણ જાતના રાજકીય બેકગ્રાઉન્ડ કે અનુભવ વગર દિલ્હીમાં સરકાર બનાવીને સફળ રીતે ચલાવી શકતા હોય તો ભવિષ્યમાં ગુજરાતમાં પણ કદાચ પત્રકાર યોગ શિક્ષકએ દિશામાં જરૂર વિચારશે.

શકય એ છે કે આગામી દિવસોમાં આવી રહેલ શહેરની સ્થાનિક ચુંટણીમાં લોકોના અન્ય પ્રશ્નો સાથે હેલ્મેટ પ્રશ્ન લઇને સૌરાષ્ટ્રની જનતા વતી એક રાજકીય પાર્ટી બને અને દિલ્હીની માફક પરિવર્તન થાય. થોડામાં ઝાઝુ સમજશો.

આભાર. ભાવેશ આચાર્ય

પત્રકાર-યોગ શિક્ષક  રાજકોટ મો. ૯૪૨૭૨ ૧૪૭૭૨

(3:38 pm IST)