Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ગ્રો-ગ્રીન રાજકોટનો પ્રારંભ : તંત્ર ટ્રી ગાર્ડ સાથે વૃક્ષ વાવી જશે

મહાનગરપાલિકા અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સંયુકત ઉપક્રમે : શહેરના મુખ્ય માર્ગ પૈકી અમુક રસ્તાઓની આગવી ઓળખ ઉભી થાય તે રીતે વૃક્ષારોપણ કરાશે : પ્રદિપ ડવ : કોર્પોરેશનના મુખ્ય કચેરીના ગ્રાઉન્ડમાં પદાધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું

રાજકોટ તા. ૨૧ : મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું. તેમજ શહેરમાં લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરોના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. જેના અનુસંધાને શહેરમાં વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. જેના અનુસંધાને મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવે ચાલુ વર્ષે ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક સંસ્થાઓ મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને પીવાના પાણી સાથે ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનો વિચાર પદાધિકારીઓ અને પાર્ટીના હોદેદારશ્રીઓ સમક્ષ રજુ કરતા જેને આવકારતા ચાલુ વર્ષે સામાજીક સંસ્થાના માધ્યમથી શહેરમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ. જેના અનુસંધાને આજ તા.૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુકત ઉપક્ર્મે સઘન વૃક્ષારોપણ માટે 'ગ્રો ગ્રીન' રથનો પ્રારંભ. મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગ્રોસ્વામી વિગેરેના વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

ગ્રો ગ્રીન સઘન વૃક્ષારોપણ અંતર્ગત હાલમાં ત્રણેય ઝોનના મુખ્યમાર્ગો જેવા કે, ડિલક્ષ ચોકથી ગ્રીન લેન્ડ ચોકડી, સંતકબીર રોડ, સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ગામ સુધી, ઢેબર રોડ ત્રિકોણ બાગથી હાઇવે બ્રિજ સુધી, મવડી બ્રિજથી રામધણ સુધીના મુખ્યમાર્ગ વિગેરે માર્ગો પર વૃક્ષારોપણ કરાશે. જેમાં સંસ્થા દ્વારા ખાડો, વૃક્ષ, ટ્રી-ગાર્ડ, નેટ, ખાતર તેમજ સંસ્થા દ્વારા નિયમિત પાણી પીવડાવામાં આવશે. શહેરના અન્ય રસ્તાઓ પણ તબક્કાવાર આવરી લેવામાં આવશે.

સઘન વૃક્ષારોપણમાં કરંજ, લીમડા, પીલખન, ફાઈકર્સ, બોરસલી, પારીજાત, પીપળા, વડલા, બોટલબ્રુસ, રાવણો, ખાટી અંબાલી વિગેરે પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવએ જણાવેલ કે, શહેરના અમુક માર્ગો પર માર્ગની આગવી ઓળખ ઉભી થાય તે પ્રકારના વૃક્ષો જેવા કે, બોટલબ્રુસ, ફાઈકર્સ જેવા વૃક્ષ વવાશે.

આજે વિશ્વ આખું કલાઈમેટ ચેન્જ અને પર્યાવરણની ચિંતા કરી રહ્યું છે. આજના સમયમાં પર્યાવરણનું જતન થાય અને શુદ્ઘ ઓકિસજન મળે અને કાર્બનમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા આ માટે પ્રયત્ન કરી રહેલ છે. કાર્બન ઘટાડવા શહેરની સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી. લાઈટમાં પરિવર્તિત, રૂફટોપ સોલાર, સાઈકલ શેરિંગ પ્રોજેકટ, વૃક્ષારોપણ વિગેરે હાથ ધરવામાં આવેલ છે. શહેરને હરિયાળું, સ્વચ્છ બનાવવા તમામ નગરજનો જાગૃત થાય અને તંત્રને સહકાર આપવા પદાધિકારીઓએ અપીલ કરેલ.

શહેરીજનો ઘરના આંગણે કે વિસ્તારમાં વૃક્ષો વાવવા કોર્પોરેટરો - વોર્ડ ઓફિસરનો

સંપર્ક કરે : મેયર - સ્ટે.ચેરમેનની અપીલ

રાજકોટ : શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા ગ્રો-ગ્રીન યોજનાનો આજે મનપા તંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરીજનોએ પોતાના ઘરને આંગણે કે સોસાયટી કે વિસ્તારમાં વૃક્ષારોપણ માટે કોર્પોરેટર અને વોર્ડ ઓફિસરનો સંપર્ક કરવા મેયર પ્રદિપ ડવ અને સ્ટે. પુષ્કર પટેલે જણાવ્યું હતું.

આ અંગે મેયર અને સ્ટે.ચેરમેનએ જણાવ્યું હતું કે, શહેરમાં તમામ વોર્ડના ૩૦ ફુટ ઉપરના રોડ પર પ્લાન્ટેશન સજેશન કરવું. જેમાં ખાડો ખોદી ટ્રી ગાર્ડ રોપ ફીટ કરી વાવેતર કરી આપવામાં આવશે. વોર્ડમાં આવતા સોસાયટીના કોમન પ્લોટ, મંદિર, ખુલ્લા મેદાન, સ્કુલ, વોર્ડ ઓફિસએ વાવેતર કરી શકાય તેવી જગ્યાઓની પણ વિગત આપવી.

દરેક વોર્ડમાં કોર્પોરેટરો અથવા વિસ્તારના કોઇપણ નાગરિકોને શેરી, રોડ, રસ્તા પરના તેઓના વોર્ડ ઓફિસરોને લખાણ કરી આપવાનું રહેશે. ત્યારબાદ વોર્ડ ઓફિસર, એન્જીનિયર સાથે રાખી જે જગ્યાએ વાવેતરનું સૂચન મળતું હોય તે જગ્યાનું મોનિટરીંગ કરી જગ્યા સૂચવશે. (કારણ કે) તે જગ્યા નીચે પાણી, ડ્રેનેજ અથવા કોઇપણ લાઇન અથવા અડચણવાળી જગ્યા ઉપર વાવેતર કરી શકશે નહિ. ત્રણ વર્ષ સુધી જાળવણી કરી એવી જગ્યાનું ૬૦ ફૂટ ઉપરના રોડ પર સજેશન કરી આપવાના રહેશે. (ડીવાઇડર અથવા રોડની સાઇડ પડખા)

(4:00 pm IST)