Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

૭૫ લાખ ભુલી જજે, ૩૭ લાખનું સોનુ છોડાવી નહિ દે તો તારા છોકરાને ગુંડા પાસે ઉપડાવી લેશું...ધમકીથી સોની વેપારી મરવા મજબૂર થયા'તા

આપઘાત કરનાર રમેશભાઇ લોઢીયાની ૧૧ પાનાની સ્યુસાઇડ નોટને આધારે પોલીસે તેના પત્નિ વૈરાગીબેનની ફરિયાદ પરથી આશાપુરાનગરના શોભનાબા રાયજાદા, તેના પતિ કૃષ્ણસિંહ, દિયર દિલીપસિંહ, દેરાણી દિવ્યાબા, ધનરાજસિંહ, મુન્ના સાંઢવાયા, જગુ અને ભૂપત ઉર્ફ ભોપ સામે ગુનો એ-ડિવીઝન પોલીસની કાર્યવાહી : શોભનાબા રાયજાદા, તેના પતિ કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિયર દિલીપસિંહ રાયજાદા અને દેરાણી દિવ્યાબાની ધરપકડ : આપઘાત કરનારે ધંધાકીય લેવડ-દેવડમાં શોભનાબા સહિતને ૭૫ લાખ આપ્યા'તાઃ તેમજ ૩૭ લાખના સોનાના પડીકા બેંકમાં મુકી રૂપિયા ઉપાડીને આપ્યા'તાઃ આ બધી મત્તા 'ખાઇ' જઇ માથે જતાં ધમકી અપાતી હોવાનો આરોપ

રાજકોટ તા. ૨૧: કરણસિંહજી રોડ પર યશ રેસિડેન્સી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૩માં રહેતાં અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં રમેશભાઇ મોરારજીભાઇ લોઢીયા (ઉ.વ.૪૭) નામના સોની વેપારીએ ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં આશાપુરાનગરમાં રહેતાં શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા સહિતના ૮ જણા જવાબદાર હોવાની ફરિયાદ આપઘાત કરનાર વેપારીના પત્નિએ નોંધાવતા એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ૪ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધંધાકીય લેવડ દેવડના ૭૫ લાખ તેમજ ૩૭ લાખના સોનાના પડીકા ઓળવી જઇ માથે જતાં સામી ઉઘરાણી કરી મારી નાંખવાની અને છોકરાને ઉપડાવી લેવાની ધમકી અપાતી હોઇ વેપારી મરી જવા મજબૂર થયાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે કોઠારીયા રોડ હુડકો કવાર્ટર બ્લોક ડી, કવાર્ટર નં. ૧૦૭માં રહેતાં વૈરાગીબેન રમેશભાઇ લોઢીયા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, તેના પતિ કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિવ્યાબેન દિલીપસિંહ રાયજાદા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા, મુન્ના સાંઢવાયા, જગુભાઇ અને ભુપત ઉર્ફ ભોપ (શોભનાબાના ભાઇ) સામે આઇપીસી ૩૦૬, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

વૈરાગીબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા ઘર નીચે મારૂતિ જ્વેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો વેપાર કરુ છું. મારા લગ્  ચોૈદ વર્ષ પહેલા થયા હતાં. અમે પ્રેમલગ્નકર્યા હતાં. પતિ રમેશ થકી મારે બે સંતાનની પ્રાપ્તિથઇ હતી. બે વર્ષથી પતિ-પત્નિ વચ્ચે મનમેળ ન હોઇ હું અલગ રહેવા જતી રહી હતી. ૧૯/૯ના મારી દિકરીએ મારા પતિને ફોન કરતાં ફોન ન ઉપડતાં અને તે બે દિવસથી ઘરે આટો મારવા પણ આવ્યા ન હોઇ મેં મારા ભાઇ વીહાભાઇ ખટાણાને ફોન કરી રમેશ ફોન ઉપાડતાં ન હોઇ વાત કરી હતી. એ પછી મારા કોૈટુંબી દિયર કલ્પેશભાઇનો ફોન આવેલો કે તમે રમેશના ઘરે આવો. હું ત્યાં જતાં પતિનો બેડરૂમનો દરવાજો બંધ હતો. ૧૦૦ નંબર અને ફાયર બ્રિગેડને ફોન કરતાં દરવાજો તોડીને જોતાં પતિની લાશ મળી હતી.

પલંગ પર એક નોટબૂક પડી હતી. જેમાં ૧૬/૯/૯ના રોજ ૧૧ પાનામાં લખાયેલી સ્યુસાઇડ નોટ હતી. જેમાં પહેલા પાને જ લખ્યું હતું કે-'આજે હું જે કાઇ પગલુ ભરુ છું તેના જવાબદાર શોભનાબા, કૃષ્ણસિંહ, દિલીપસિંહ, દિવ્યાબેન, ધનરાજ, જગુભાઇ (કાલંભડી) શોભનાબાના ભાઇ, ભોપભાઇ, મુન્નાભાઇ તે કૃષ્ણસિંહના સગા થાય છે તે બધા લોકોનું મારા પર એટલુ દબાણ છે કે મારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે.'

મારા પતિએ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે એ મુજબ તેમણેસોનાનો વહિવટ કર્યો હતો. મારા પતિ પાસેથી રૂ. ૭૫ લાખ કટકે કટકે શોભનાબા તથા કૃષ્ણસિંહને આપ્યા હતાં. જે રકમ શોભનાબા પાછા આપી શકે તેમ નથી તેવું શોભનાબાએ કહ્યું હતું. આ ઉપરાંત મારા પતિને આ લોકોએ ૩૭ લાખના સોનાના પડીકા આપ્યા હતાં. તે મારા પતિએ બેંકમાં મુકી ૨૧ લાખ અને સગા પાસેથી ૧૬ લાખ લઇ શોભનાબાને આપ્યા હતાં. બેંકમાં પૈાસ ભર્યા વગર સોનાના પડીકા મળે તેમ ન હોઇ છતાં શોભનાબા અને તેના પતિ પૈસા વગર કોઇપણ હીસાબે દાગીના પાછા માંગતા હતાં અને સતત દબાણ કરી મારી નાંખવાની ધમકી આપતાં હતાં. તેમજ મુન્ના સાંઢવાયાવાળા પાસે મારા પતિએ હાથે લખેલી ડાયરીના ૩૭ લાખનું લખાણ હોઇ તે પણ આ લખાણ બતાવી મારા પતિને તમે વ્યાજનો ધંધો કરો છો, ફરીયાદ કરીશ તેમ કહી ધમકાવતો હતો. શોભનાબા અને તેના પતિ ૩૭ લાખનું સોનુ એમ ને એમ પાછુ આપી દેવાનું અને પૈસા ભુલી જવાનું કહી મારા પતિને પતાવી દેવાની અને પોતાની પાસે ગુંડા છે, તારા છોકરાને ઉપાડી જશે તેવી ધમકી આપતાં હતાં. પતિએ સ્યુસાઇડ નોટમાં જેટલા નામ લખ્યા છે એ બધાના દબાણથી તેઓ ખુબ ડરી ગયા હોઇ તેઓ મરી જવા મજબૂર થયા છે.

પતિએ ધંધાકીય લેવડ દેવડના ૭૫ લાખ આપ્યા હતાં. ઉપરાંત ૩૭ લાખના સોનાના પડીકા આપ્યા હતાં. આ બધી મત્તા શોભનાબા સહિતના ઓળવી ગયા હોઇ અને માથે જતાં મારા પતિ પાસે પૈસા માંગતા હોઇ ધમકી આપતાં જેથી તેઓ ઝેર પી મરી જવા મજબૂર થયા છે. તેમ વધુમાં વૈરાગીબેને જણાવતાં પીએઅસાઇ ટી. ડી. ચુડાસમા, રવીભાઇ વાઘેલા અને જયપાલસિંહે ગુનો નોંધી પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં ગુનો નોંધવા કાર્યવાહી કરી આશાપુરાનગર-૧૬માં રહેતાં શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા (ઉ.૪૭), તેના પતિ પાનનો ધંધો કરતાં કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા (ઉ.૪૮), શોભનાબાના દિયર દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદવા (ઉ.૩૫) અને દેરાણી દિવ્યાબાદ દિલીપસિંહ રાયજાયદા (ઉ.૩૫)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)