Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

પર્વનો રાજા એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ :અઠ્ઠાઈ ધરથી આઠ દિવસ જૈનો મહાવીરમય બનશે

દેરાવાસી સમાજ તા.૨૬ થી તથા ૨૭મીથી  સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક વાંચન તા.૩૧: સંવત્સવરી તા.૩/૯ના ઉજવાશે : વિવિધ ધર્મ સ્થાનકો- ઉપાશ્રયોમાં પ્રાર્થના,  પ્રવચન, પ્રતિક્રમણ, તપ- જપ સહિતના ધર્મભીના આયોજનોઃ  પર્યુષણ પર્વ એટલે ભોજનીકમાંથી ભજનીક બનવાના દિવસોઃ પર્યુષણ પર્વ એટલે આત્માનું ઓડીટ કરવાના ઉત્તમ દિવસો

ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભૂમિકારૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મ પ્રેમીઓ વધારેમાં વધારે સમય ધાર્મિક,અનુષ્ઠાનો, પ્રાર્થના, પ્રવચન,પૌષધ, પ્રતિક્રમણ,તપ - જપ કરી ધર્મ ધ્યાનમાં સતત રત રહે તે હેતુથી આઠ દિવસ પર્યુષણ પર્વની પરંપરા ચાલુ કરેલ છે.

મનોજ ડેલીવાળા જણાવે છે કે પર્યુષણ પર્વને જૈનો પર્વનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખુ વર્ષ મહેનત કરે અને પરીક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઈ જાય છે. તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે.

વર્ષ દરમ્યાન જાણતા - અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી ઉપકારી પૂ.સંત - સતિજીઓ,ગુરૂ ભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના,ગર્હા કરી, પ્રાયશ્ચિત લઈ તપ - ત્યાગ કરીને કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે. આગળના સાત દિવસ એટલે આત્મ સાધનનાના દિવસ અને સંવત્સરીનો દિવસ એટલે સિધ્ધીનો દિવસ.

જ્ઞાની ભગવંતો કહે છે આઠ દિવસ પોતાના આત્માનું ચેકીંગ કરી આલોચના, પ્રતિક્રમણ કરી જગતના સર્વે જીવાત્માને ખરા અંતઃ  કરણપૂર્વક ખમાવી આત્માને શાંત અને સ્વસ્થ કરીને વર્ધમાન પરીણામનું લક્ષ રાખવા આ પર્યુષણ પર્વના મહાન અને પવિત્ર દિવસો રહેલાં છે.(૩૦.૬)

સંકલનઃ મનોજ ડેલીવાળા,

રાજકોટ. મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(1:23 pm IST)