Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખપદે રાજકોટના દિનેશ કારીયા બહુમતી સાથે ચુંટાઇ આવ્યા

અમદાવાદની મીટીંગમાં કારોબારીએ નવા હોદેદારો જાહેર કર્યા : ઉપપ્રમુખપદે જુનાગઢના કમલ સેજપાલ : નવનિયુકત ટીમનું સન્માન

રાજકોટ તા. ૨૧ : ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનની કારોબારીના નવનિયુકત સભ્યોની પ્રથમ મીટીંગ અમદાવાદ કાર્યાલયે મળી જતા અને હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખપદે માટે બે સભ્યોની દાવેદારીથી ચુંટણી થયેલ અને તેમા સૌથી વધુ મત મેળવી રાજકોટના દિનેશભાઇ એમ. કારીયા ચુંટાઇ આવતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

ગુજરાત ટી ટ્રેડર્સ એસો. એ ચા ના વેપારીઓનું ભારતનું સૌથી વિશાળ સભ્ય ધરાવતુ સંગઠન છે. વર્ષ ૨૦૧૮ ના હોદેદારોની વરણી કરવા કાર્યવાહી થતા પ્રમુખપદ માટે રાજકોટના દિનેશભાઇ એમ. કારીયા અને સુરેન્દ્રનગરના નિધેષભાઇ એચ. શાહે દાવેદારી નોંધાવી હતી. જેથી ચુંટણી કરવામાં આવતા નિધેષભાઇના ૮ મતો સામે દિનેશભાઇ કારીયાએ ૨૧ મતો મેળવતા વિજેતા જાહેર થયા હતા.

સમગ્ર ચુંટણી પ્રકીયા ચુંટણી અધિકારી દ્વારા અને પૂર્વ પ્રમુખ તેમજ સલાહકાર સેંધાભાઇ એસ. પટેલ (મહેસાણા) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખપદે આરૂઢ થયેલા દિનેશભાઇ ૨૮ વર્ષથી ચા ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાજકોટમાં વલ્લભ ટી પ્રા.લી. (બ્લેક ગોલ્ડ ટી) ના નામથી વ્યવસાય ધરાવે છે. આર.એસ.એસ. અને ભાજપમાં ખજાનચી, મંત્રી, ઉપપ્રમુખ જેવી જવાબદારી સંભાળતા આવ્યા છે.હાલ રાજય સરકારમાં અન્ન આયોગના ડાયરેકટર છે. વેસ્ટર્ન રેલ્વે ડીઆરયુસીસીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

અન્ય હોદેદારોમાં ઉપપ્રમુખપદે જુનાગઢના કમલ સેજપાલ, અમદાવાદના રતનલાલજી શર્મા, મહેસાણાના રમણભાઇ પટેલ, સુરતના રવિન્દ્રભાઇ પટેલ તેમજ સહમાનદ મંત્રી તરીકે ભુજના જમનાદાસ વેલજીભાઇ, પાટણના હર્ષદભાઇ પીંડારીયા, અમદાવાદના અજયભાઇ શેઠ, પાલનપુરના કનુભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી.

સર્વસંમતિથી થયેલ આ નિમણુંકો બદલ પૂર્વ પ્રમુખ અને કારોબારી સભ્ય એવા અરવિંદભાઇ બરછા રાજકોટ, અરવિંદભાઇ શાહ નડીયાદ, સુરેશભાઇ સંઘવી રાજકોટ દ્વારા નવનિયુકત ટીમનું સન્માન કરાયુ હતુ.

આ તકે દિનેશભાઇ  (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫) એ જણાવેલ કે ગુજરાતમાં ચા ના વેપારીઓ મોટી સંખ્યામાં છે. નાના માણસો માટે ચા પ્રિય પીણું માનવામાં આવે છે. ચા ના વેપારીઓના જે કઇ પ્રશ્નો હોય તેનો હલ લાવવા હું હંમેશા કટીબધ્ધ રહીશ.અંતમાં આભારવિધિ નિરજભાઇ પટેલે કરી હતી.

પ્રમુખપદે ચુંટાયાની ખુશી શેર કરી દિનેશભાઇએ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના  આશીર્વાદ મેળવ્યા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(4:25 pm IST)