Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બારદાન બઠ્ઠાવવાના ગુનામાં મગન ઝાલાવડીયાની મોડી રાતે ધરપકડઃ ૩૦ હજાર બારદાન વેંચી નાંખ્યાની કબુલાત

આગથી બચેલા કોથળામાંથી 'બિલાડું' નહિ, કોૈભાંડના 'પુરાવા' કાઢવાના દ્રઢ નિર્ધાર સાથે આગળ વધારતી તપાસઃ વિસ્તૃત પુછતાછનો દોરઃ વેંચેલા બારદાન કબ્જે લેવા, બદલાવેલા રજીસ્ટર કબ્જે લેવા તેમજ અન્ય આરોપીઓની ભૂમિકા તપાસવા સહિતના મુદ્દે કાર્યવાહીઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ ચાર ટીમો દ્વારા ચાલી રહી છે તપાસ

રાજકોટ તા. ૨૦: ચકચારી મગફળી કોૈભાંડના મુખ્ય  કાવત્રાખોર સોૈરાષ્ટ્ર ગુજકોટના મેનેજર પડધરીના મગન નાનજીભાઇ ઝાલાવડીયાનું નામ રાજકોટ જુના યાર્ડમાંથી   બારદાન બઠ્ઠાવી જવાના કારસ્તાનમાં પણ નામ ખુલતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી મોડી રાત્રે વિધીવત ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ મગનની વિસ્તૃત પુછતાછ થતાં તેણે ૩૦ હજાર બારદાન બારોબાર વેંચી નાંખ્યાની પ્રાથમિક કબુલાત આપી દીધી છે. કોૈભાંડના મુળ સુધી પહોંચવા માટે અને કોથળામાંથી ીબલાડુ નહિ પણ પુરાવા કાઢવાના ઇરાદા સાથે પોલીસે તપાસ આગળ વધારી છે. મગનના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હવે હાથ ધરાશે.

મગફળી કોૈભાંડની તપાસમાં રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગનો પણ મગન ઝાલાવડીયા અને ગુજકોટના મેનેજર મનોજે લાભ ઉઠાવી લીધાનું અને આગમાંથી બચેલા પૈકીના રૂ. ૧૫ લાખ ૮૦ હજારના કુલ ૩૦ હજાર ૮૦૦ નંગ બારદાન બારોબાર વેંચી નાંખી રોકડા કરી લીધાનું ખુલતાં આ મામલે ગોંડલના સર્કલ પી.આઇ. ફરિયાદ પરથી રાજકોટ બી-ડિવીઝન પોલીસે મગન સહિત ૮ સામે ગુનો દાખલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

બી-ડિવીઝન પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો છે. જુના માર્કેટ યાર્ડમાં ગત માર્ચ મહિનામાં ભિષણ આગ ભભૂકતાં૧૩ કરોડ ૮૨ લાખ ૬૮ હજાર ૫૨૫ની કિંમતા ૧૯,૩૯,૨૫૦ નંગ બારદાન ખાક થઇ ગયા હતાં. જ્યારે ૫,૨૬,૯૦૦ નંગ બારદાન બચી ગયા હતાં. બચી ગયેલા પૈકીના રૂ. ૧૫,૮૦,૦૦૦ના બારદાનનું મગન સહિતની ટોળકીએ બારોબાર વેંચાણ કરી નાંખી ઠગાઇ કરી તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરી પુરાવાનો નાશ કર્યાનો ગુનો દાખલ થયો છે.

આ મામલે ગોંડલ ડિવીઝનના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.આર. વાણીયાએ ફરિયાદી બની રાજકોટ બી-ડિવીઝનમાં આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૦૧, ૪૨૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં આરોપી તરીકે તરઘડીયાના મગન નાનજીભાઇ ઝાલાવડીયા, મનોજ (અમદાવાદ ગુજકોટના મેનેજર-રહે. અમદાવાદ), તરઘડીયાના મનસુખ બાબુભાઇ લીંબાસીયા, તરઘડીયાના કાનજી દેવજીભાઇ ઢોલરીયા, તથા અમદાવાદના નિરજ, પરેશ હંસરાજભાઇ સંખારવા, મહેશ પ્રધાનભાઇ ભાનુશાળી, અરવિંદ પરાજભાઇ ઠક્કરના આરોપી તરીકે નામ આપ્યા છે.

બી-ડિવીઝન પોલીસે મગન ઝાલાવડીયાનો જેલમાંથી કબ્જો મેળવી મોડી રાત્રે ધરપકડની કાર્યવાહી કરી છે.  પોલીસ સમક્ષ મગન ઝાલાવડીયાએ ઉંડાણ પુર્વકની લાંબી પુછતાછને અંતે પોપટ બની જઇ આગ લાગતાં બચેલા પૈકીના બારદાનમાંથી ૩૦ હજાર નંગ બારદાન બારોબાર બઠ્ઠાવી લઇ વેંચી નાંખ્યાનું કબુલ્યું છે. પોલીસે આ બારદાન કબ્જે લેવા તેમજ અન્ય આરોપીઓ વિરૂધ્ધ નક્કર પુરાવા એકઠા કરવા સહિતની તપાસ આગળ વધારી છે. મગનના રિમાન્ડની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.

એસીપી જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં ચાર ટીમો તપાસ કરી રહી છે. જેમાં બી-ડિવીઝનના બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર,  જગેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમ પણ સામેલ છે. પોલીસ એક પછી એક પુરાવા એકઠા કહી બીજા આરોપીઓની ધરપકડ કરશે તેમ જાણવા મળે છે. મગને બે ટ્રક ભરીને કોથળા (બારદાન) બારોબાર મોકલી દીધા હતાં તે અંગેના રજીસ્ટરમાં પણ પાના ફાડી નાંખી અલગ નવી નોંધ કરાવી હતી. આ રજીસ્ટર કબ્જે લેવા સહિતની કાર્યવાહી પણ થશે. બારદાનના જથ્થામાં આગ લાગી હતી કે લગાડાઇ હતી? તે રહસ્ય પણ અકબંધ હોઇ મગન આ મામલે કંઇ જાણતો તો નથી ને? તેની પણ તપાસ થશે. (૧૪.૭)

(11:52 am IST)