Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૫ હજારથી લોકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

રાજકોટઃ. સંયુકત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના યોગના સંદર્ભમાં શારીરિક અને માનસિક રીતે માનવી સજ્જ બને તે માટે મહર્ષિ પતંજલીએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. ભૌતિકતાની દોડમાં યોગ વિદ્યા સ્વાસ્થ્યપૂર્ણ જીવન પદ્ધતિનું મૂલ્ય અને મહત્વ વિસરાઈ જવા પામ્યુ હતું. આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 'યોગ દિન'ની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુકયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉમળકાભેર યોગ દિનને આવકાર સાંપડયો. ભારતમાં યોગ પ્રક્રિયાનો વ્યાપક સ્વીકાર થઈ રહ્યો છે.

સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ૨૧ જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકેની ઉજવણી કરવાના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસ ખાતેના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટીના મુખ્ય વહીવટી વિવિધ વિભાગોના વડાઓ સહિતના અધિકારીશ્રીઓ સાથે બેઠકો યોજી ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે પરિણામલક્ષી આયોજન કરવામાં આવેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક, બીનશૈક્ષણિક કર્મચારીઓ, કેમ્પસ ખાતેના વિદ્યાર્થીઓ યોગદિનના કાર્યક્રમમાં અસરકારક રીતે યોગ, પ્રાણાયામ કરી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઈન્ડોર સ્ટેડીયમ ખાતે તા. ૧૪ના જૂન અને તા. ૧૫ જૂન ભાઈઓ માટે તથા બહેનો માટે તા. ૧૮ અને તા. ૧૯ જૂન તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં પ્રતિદિન સાંજે ૫.૩૦ થી ૬.૧૫ ભાઈઓ તથા બહેનો આશરે ૫૦૦ થી ૬૦૦ની ઉપસ્થિતિમાં યોગ અને પ્રાણાયામની જાણકારી મેળવી હતી.

આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનના ઉપલક્ષ્યમાં યોગના પ્રારંભે આંકડા અધિકારી ડો. આરતીબેન ઓઝાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પ સ્થિત ફીટનેસ એન્ડ ફ્રેસનેસ સેન્ટર ફોર વિમેનના બહેનો દ્વારા વિવિધ યોગાસનો તથા સૂર્ય નમસ્કારનું નિદર્શન કરવામાં આવેલ હતું.

તા. ૨૧મી જૂન ગુરૂવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવેની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળના સભ્યશ્રીઓ, રાજકોટના ખ્યાતનામ તબીબો, વિદ્યાર્થીઓ અને નગરજનો સહિત કુલ ૫૦૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિવાળા આ પ્રભાવશાળી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઇને આવલ હતા. યોગની પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે ગ્રાઉન્ડ ઉપર મુખ્ય યોગ નિર્દેશક વૈશાલીબેન મકવાણા સહિતના કુલ ૪ (ચાર) યોગ નિર્દેશક દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવેલ હતું. યોગની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ય બને અને દૂર સુધી બેઠેલા યોગ કરી શકે તે માટે એલ.ઇ.ડી. સ્ક્રીનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને યોગ શિબિરમાં ભાગ લેનાર માટે ફ્રુટ જયુસનો પ્રબંધ, યોગ કાર્યક્રમ દરમ્યાન તાત્કાલીક સારવાર માટે તબીબોની ટીમ હાજર હતી તેમજ સેનીટેશનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

કાર્યક્રમમાં ફુલસચિવ ડો. ધીરેન પંડયા, પૂર્વ કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, સીન્ડીકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. વિજયભાઇ પટેલ, ડો. ભાવીનભાઇ કોઠારી, ડો. જી.સી. ભીમાણી, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. પ્રફુલ્લાબેન રાવલ, વિવિધ વિદ્યાશાખાના ડીન, અધરધેન ડીનશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, યુનિવર્સિટીના વહીવટી અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ રાજકોટ સ્થિત સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં નિયમિત વોકીંગ કરવા આવતા નગરજનો તેમજ સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવે અને કુલસચિવશ્રી ડો. ધીરેન પંડયાના માર્ગદર્શન હેઠળ શ્રી આર.જે. ચાવડા, જે.પી. બારડ, વી.એચ. ડાંગશીયા, ઉમેશ માઢક સહિતનાએ જહેમત ઉઠાવી હતી. (૨-૧૬)

(3:38 pm IST)