Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આલ્ફ્રેડ હાઇસ્કૂલ ૩ માસ બાદ નામશેષઃ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં પરિવર્તીત થશે

સત્યપીઠ પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરતા બંછાનિધી પાની

રાજકોટ, તા.૨૧: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી રહેલા રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધી બાપુની કાયમી સ્મૃતિમાં એક અનોખું અને દેશ વિદેશમાં જેની નોંધ લેવાય તેવું એક અદભૂત અનુભૂતિ કેન્દ્ર બનાવવા માટેનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેકટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલો છે. મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જવાહર રોડ પર આવેલ આલ્ફ્રેડ હાઈસ્કૂલની મુલાકાત લઇ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર- 'સત્ય પીઠ' પ્રોજેકટની કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી. કમિશનરશ્રીએ કહ્યું કે, હાલ ઝડપભેર કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સંભવતઃ આગામી ત્રણ માસમાં સંપન્ન થઇ જશે તેવી આશા રાખી શકાય.

કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં હાલ વિવિધ કામગીરી ચાલી રહી છે જેમાં 'સી' વિંગને બંને છેડેથી જોડવા માટે બ્રિજ બનાવવાની કામગીરી ગતિમાં છે. આ બ્રિજ બનવાથી મુલાકાતીઓને એલ છેડેથી બીજા છેડા સુધી પહોંચવામાં ખુબ સરળતા રહેશે. આ બ્રિજ બનાવવામાં આંતરરાષ્ટ્રિય ધોરણો ધ્યાનમાં રાખવામાં આવેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સિવિલ વર્કમાં ફલોરીંગ, ટેરેસ વોટર પ્રૂફિંગ – મોઝેકનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે. એવી જ રીતે પીઢીયા પાપડાનું કાર્ય પણ પુરૂ થયું છે.

કમિશનરશ્રીએ એક વિશેષ વાર કરતા કહ્યું કે, આ હેરીટેજ બિલ્ડીંગનો હેરીટેજ લૂક યથાવત જળવાઈ રહે તે રીતે સમગ્ર ઈમારતનું પ્રોજેકટની વિવિધ આવશ્યકતા અનુસાર આધુનિકરણ કરવામાં આવી રહયું છે.અત્યારે રૂફ્નું કામ પૂર્ણ થવામાં છે. એરકન્ડિશનિંગ માટેના ડકટની કામગીરી કરવામાં આવી રહી છે. તો સાથોસાથ ઇલેકિટ્રક કેબલ અને દરેક રૂમમાં કલર કામ ગતિમાં છે. મહાત્મા અનુભૂતિ કેન્દ્રની અંદર રહેલી હેરીટેજ સીડીનું રીટ્રોફિટિંગ કરવામાં આવી રહયું છે.

આ ઉપરાંત ગ્રીલનું કામ આગળ ધપી રહયું છે, જયારે વી.આઈ.પી. લોન્જ, ટિકિટ બૂથ અને ટોઇલેટ બ્લોકનું કામ પૂર્ણ થવામાં છે. કમિશનરશ્રીએ આજે સ્થળની મુલાકત લીધા બાદ આ પ્રોજેકટની કામગીરી શકય તેટલી વહેલી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આશરે રૂ. ૨૧ કરોડનાં આ પ્રોજેકટમાં મ્યુઝિયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીજીનાં સત્ય, હિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય તેમજ લોકો તેમાથી પ્રેરણા મેળવી આ આદર્શો પોતાના જીવનમાં ઉતારી શકે તદ્દપરાંત સમગ્ર વિશ્વના સહેલાણીઓ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તથા ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલ એક શ્રેષ્ઠ સ્થાન બની રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મેમોરીયલ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવેલ અને આજે આ પ્રોજેકટ ખુબ ઝડપથી પૂર્ણ થવા ભણી આગળ ધપી રહયો છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં આ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના સંસ્મરણો તથા જીવન ચરિત્રને તાદ્રસ્ય કરવામાં આવશે. તેમજ આ મ્યુઝિયમમાં આધુનિક મલ્ટીમીડિયાના ઉપયોગથી મીની થીયેટર, મોસન ગ્રાફિક તેમજ ઓગ્મેન્ટેડ રીયાલીટીની સહાયથી મુલાકાતીઓને થ્રીડી પ્રોજેકસન તેમજ કટ આઉટ દ્વારા ગાંધી સ્મૃતિ તાદ્રસ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ પણ કહ્યું કે, આ પ્રોજેકટ સાકાર થયા બાદ ગુજરાતના પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પોતાના ફરવાના સ્થળોમાં રાજકોટનો પણ સમાવેશ કરશે એમ કહી શકાય. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર વૈશ્વિક કક્ષાનું બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા શકય તમામ પ્રયાસ કરી રહી છે.

મ્યુનિ. કમિશનરશ્રીની આ સાઈટ વિઝિટ દરમ્યાન નાયબ કમિશનર શ્રી ચેતન નંદાણી તથા અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહયા હતાં અને કમિશનરશ્રીને હાલ ચાલી રહેલી કામગીરી અને હવે પછી હાથ ધરવામાં આવનાર કામગીરી વિશે માહિતી આપી હતી.

(4:41 pm IST)