Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ચમાર યુવાનની હત્યામાં શાપર-વેરાવળના કારખાનેદાર જયસુખ રાદડીયા અને તેના બે સાળા સહીત પાંચની ધરપકડ

કચરો વિણતા મુકેશ વાણીયા પર ચોરીનો આળ મુકી કારખાનામાં ગોંધી પ શખ્સો તૂટી પડતા મોત થયું'તું: દલીત યુવાનને માર મારતો વિડીયો વાયરલ થતા તમામની ઓળખ મેળવી દબોચી લેવાયાઃ એક આરોપી સગીર

તસ્વીરમાં મુકેશ વાણીયાનો નિષ્પ્રાણ દેહ, વિગતો જણાવતાં રાજકોટના કમલેશભાઇ મકવાણા તથા અન્ય કાર્યકરો અને મુકેશને માર મારવામાં આવ્યો તેનો વિડીયો વાયરલ થયો હતો તેના દ્રશ્યો જોઇ શકાય છે

જામનગરનો સગીર ભરવાડ શાપર સ્થિત મામાને ઘરે આવ્યો'તો અને કારખાનેદાર સાથે ચમાર યુવકને માર મારવામાં સામેલ થઇ ગયો'તો!!

રાજકોટ, તા., ર૧: શાપર-વેરાવળમાં રાદડીયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ચમાર યુવાનને ગોંધી રાખી માર મારી મોતને ઘાટ ઉતારી દીધાના બનાવમાં પોલીસે કારખાનેદાર પટેલ યુવાન તથા તેના બે સાળા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પાંચ શખ્સોમાં એક સગીર આરોપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં શિતળા માતાજીના મંદિર નજીક મારૂતી પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો મુકેશ સવજીભાઇ વાણીયા (ઉ.વ.૪૦) તેની પત્ની જયાબેન અને કાકીજી સાસુ સવિતાબેન ગઇકાલે વ્હેલી સવારે ત્યાં નજીકમાં આવેલી રાદડીયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે કચરો વીણતા હતા ત્યારે પાંચેક શખ્સો ધસી આવ્યા હતા અને ચોરીનું આળ મુકી ત્રણેયને ધોકા અને પટ્ટાથી માર માર્યો હતો. આ હુમલો થતા જયાબેન અને સવિતાબેન ભાગી ગયા હતા. જયારે મુકેશને આ પાંચેય શખ્સોએ કારખાનામાં લઇ જઇ ગોંધી રાખી બાંધીનેધોકા-પટ્ટાથી ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ પત્ની જયાબેન ફરી કારખાને આવતા પતિ મુકેશભાઇ બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

શાપર પોલીસે મૃતકના પત્ની જયાબેનની ફરીયાદ પરથી  ગુન્હો દાખલ કર્યોહતો. દરમિયાન ચમાર યુવકને ગોંધી રાખી માર માર્યાની ઘટનાનો વિડીયો વાયરલ થતા ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ તથા શાપરના પીએસઆઇ સિન્ધુએ વિડીયોના આધારે માર મારનાર કારખાનેદાર જયસુખ દેવરાજભાઇ રાદડીયા (ઉ.વ.૩૯) (રહે. આશ્રમ પાસે, શાપર-વેરાવળ) તથા તેના બે સાળા સીરાજ વિઠ્ઠલભાઇ વોરા અને દિવ્યેશ કિશોરભાઇ વોરા (રહે. કાંગશીયાળી) અને મજુર તેજસ કનુભાઇ તથા એક ભરવાડ સગીરને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ પાંચ શખ્સો પૈકી  સગીર ભરવાડ   કે જે જામનગરનો છે તે શાપરમાં રહેતા તેના મામાને ત્યાં આવ્યો હતો અને જયાં બનાવ બન્યો છે તે કારખાનાની સામે પાનની કેબીને આવ્યો'તો ત્યારે કારખાનામાં ચમાર યુવકને માર મરાતો હોય શું કામ મારો છો? તેવું પુછતા કારખાનેદાર જયસુખ રાદડીયા સહિતનાઓએ આ શખ્સ ચોરી કરે છે તેવું કહેતા પોતે પણ લાકડી લઇ ચમાર યુવકને મારવામાં ચોટી ગયો હતો

 પકડાયેલ તમામ શખ્સોની ડીવાયએસ ચૌહાણ તથા શાપરના પીએસઆઇ સિન્ધુએ પુછપરછ હાથ ધરી છે અને હત્યામાં વપરાયેલ ધોકા તથા પટ્ટા સહિતની વસ્તુઓ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. (૪.૧)

(12:17 pm IST)