Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

જેતપુરના તિર્થધામ સાંકળી ગામે સ્વામિનારાયણ આશ્રમ ખાતે કાલથી ધર્મોત્સવ : રવિવારે પૂ. ઘનશ્યામજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા

સ્વ. સવજીભાઇ કોરાટની પ્રતિમાનું પણ અનાવરણ : સંતવાણી-લોકડાયરાના પણ કાર્યક્રમો : ૧૫ વિઘામાં બનેલી નિલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન સમારોહ : ધો. ૧ થી ૧૨ ના ૧૨૦૦ છાત્રો અભ્યાસ કરશે : હોસ્ટેલ સાથે હોર્સરાઇડીંગ, સ્વીમીંગ, સ્કેટીંગની પણ સુવિધા

તસ્વીરમાં કોઠારી સ્વામી દર્શન, કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, ઋષીકેશ સ્વામી સાથે શાળાના પ્રિન્સીપાલ પરેશભાઇ કારોણા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ : જુનાગઢવાસી શ્રી રાધારમણદેવ ગરવાગિરનારની ગોદમાં વસેલ ભગવાન શ્રી હરિની પદરજની પાવન થયેલ સાંકળી ગામ કે જયાં તેરકોસી વાવમાં સ્નાન કરી શ્રી હરિએ તીર્થત્વ પ્રદાન કર્યુ છે તેમજ સદ્દગુૂ શ્રી રામાનંદ સ્વામી એ જયાં સદાવ્રત ચલાવી અનેક લોકોને પરીતૃપ્ત કર્યા છે. અ. મૂ. સદ્દગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, સદ્દગુરૂ શ્રી મહાપુરૂષ દાસજી સ્વામી જેવા મહાસમર્થ અક્ષર મુકતોના વિચરણથી ગૌરવવંતી બનેલી ભૂમિ તીર્થધામ સાંકળીમાં અ. નિ. સદ્દગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી (જામજોધપુવાળા)ની પ્રેરણાથી શ્રી અવિનાશભાઇ બદીયાણી (દીપા એકસપોર્ટ)ના સહયોગથી દોઢેક વર્ષ પહેલા કો. શાસ્ત્રી સ્વામી શ્રી વિવવેકસાગરદાસજી સ્વામીએ સ્વામિનારાયણ આશ્રમની સ્થાપના કરી હતી. શ્રી ઘનશ્યામજી મહારાજની સ્થાપના કરવાના સંકલ્પ સાથે પ. પૂ. ધ. ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણાથી તા. ૨૪ ના શનિવારથી તા. ૨૬ ના સોમવાર સુધી શ્રી ઘનશ્યામજી મહારાજનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

આ અવસરે ત્રિદિનાતામ્ક જ્ઞાનયજ્ઞ, વ્યાખ્યાનમાળા, શ્રી હરિયાગ અને શ્રી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના ઉદ્દઘાટન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ છે.

મહોત્સવના પ્રમુખસ્થાને પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ બિરાજશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે નવનિર્મિત નિલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. ૧૫ વિઘામ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. ૪૦૦ છાત્રો રહી શકે તેવી હોસ્ટેલની સુવિધા તેમજ રૂ. ૧૨ થી ૧૫ હજાર જેવી ફીમાં ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. દક્ષિણના રાજયના શિક્ષકો સેવા આપશે. અભ્યાસની સાથોસાથ છાત્રો હોર્સરાઇડીંગ, સ્વીમીંગ, સ્કેટીંગ, ડાન્સીંગ સહિતની પ્રવૃતિઓનો લાભ લઇ શકશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પૂર્વ મંત્રી સ્વ. સવજીભાઇ કોરાટની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે.

આવતીકાલથી ધર્મોત્સવનો પ્રારંભ થશે. રાત્રી દરમ્યાન કિર્તીદાન ગઢવી, બીરજુ બારોટ, મયુર દવે અને મુકેશભાઇ સહિતના કલાકારો લોકડાયરા અને સંતવાણીમાં જમાવટ કરશે.

(4:35 pm IST)