Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

કાલે સામાકાંઠે મેગા 'માં કાર્ડ' કેમ્પ

રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત : રણછોડદાસજી આશ્રમ પાસેના મેદાન, કુવાડવા રોડ ખાતે ૬ હજાર પરિવારોને લેશે લાભઃ આ કેમ્પમાં વધુને વધુ લોકોને લાભ લેવા બીનાબેન, ઉદય કાનગડ તથા જયમીન ઠાકરનો અનુરોધ

રાજકોટ,તા.૨૧: આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં કરવાનું આયોજન થયેલ હોય, જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ દ્વારા ઈસ્ટ ઝોનના  જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ પરિવારો માટે તા.૨૨ ના બુધવારના રોજ સવારે ૦૯ૅં૦૦ વાગ્યાથી રણછોડદાસજી આશ્રમ પાસેનું મેદાન કુવાડવા રોડ, રાજકોટ ખાતે 'માં વાત્સલ્ય કાર્ડ' મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ કે આ મેગા કેમ્પનું ઉદઘાટન મોહનભાઈ કુંડારીયા – સંસદસભ્ય, રાજકોટ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે બીનાબેન આચાર્ય – મેયરશ્રી,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેશે.

આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે સરકારશ્રીના નિયમનુસાર વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૪.૦૦ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને માં વાત્સલ્ય કાઢી આપવામાં આવે છે. 'મા વાત્સલ્ય' યોજના હેઠળ હૃદય ના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના  ગંભીર રોગો, અકસ્માત ના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર(કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), ઘૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલ ની બીમારી ની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રાજકોટ શહેરની પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ એમ કુલ ૪૦ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી., નીતિનભાઈ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ, લાખાભાઈ, અંજલીબેન રૂપાણી તેમજ મુખ્ય મહેમાન તરીકે ભીખાભાઈ વસોયા., ભાનુબેન બાબરીયા, અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ તથા  અતિથી વિશેષ તરીકે દલસુખભાઈ જાગાણી., અજયભાઈ પરમાર જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ ઉપસ્થિત રહેશે.

માન. મેયરશ્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા પરિવારોને પોતાના કુટુંબનાં સભ્યો સાથે કેમ્પનાં સ્થળે અચૂક હાજર રહેવા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે.

વધુમાં આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે આ મેગા કેમ્પમાં પરિવારોને કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ દ્વારા 'માં વાત્સલ્ય કાર્ડ' ની પુરતી કિટ, ઓપરેટર, રીઝર્વ સ્ટાફ, હેલ્પ ડેસ્ક વિગેરે આનુસાંગિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(4:02 pm IST)