Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

શહેરના ૩૫થી વધુ ટ્રાન્સજેન્ડર્સને કોરોના વેકસીન કવચ

કલેકટર - સમાજ કલ્યાણ - આરોગ્ય વિભાગ અને લક્ષ્ય ટ્રસ્ટના સંયુકત પ્રયાસથી થર્ડ જેન્ડર્સ માટે ખાસ રસીકરણ કેમ્પ : ગેરમાન્યતાઓથી પર ઉઠી તમામને રસીકરણ કરાવવા કિન્નર સમાજની ખાસ અપીલ

રાજકોટ તા. ૧૦ : રાજય સરકાર દ્વારા કોરોના સામે સુરક્ષા કવચરૂપી વેકિસનેશન પ્રોગ્રામ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો માટે વિવિધ તબક્કાઓમાં શરુ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં નવતર પહેલના ભાગરૂપે ટ્રાન્સજેન્ડર લોકોને કોરોના સામે સુરક્ષિતતા આપવા ખાસ વેકસીનેશન કેમ્પનું આયોજન કલેકટરશ્રી રેમ્યા મોહન, સમાજ કલ્યાણ અને આરોગ્ય વિભાગ તેમજ લક્ષ્ય ટ્રસ્ટના સંયુકત પ્રયાસથી નવયુગ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

સ્કૂલ ખાતે આયોજિત કેમ્પમાં આજ રોજ એક અલગ જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રાન્સજેન્ડર્સ વેકસીન લેવા ઉત્સાહ સાથે આવ્યા હતાં. રસી લીધા બાદ ટ્રાન્સજેન્ડર ગોપી કે જેઓ લક્ષ્ય સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ જણાવ્યું હતું કે, અમે લોકો અત્યાર સુધી કોરોના સામે સુરક્ષિત રહેવા રાજય સરકારની ગાઈડલાઈન પાળતા હતાં. પરંતુ કોરોનાના ડરથી મોટા ભાગે અમે કોઈ પ્રવૃત્ત્િ। કરી શકતા નહીં.  હવે અમને રસીનો પ્રથમ ડોઝ મળી રહેતા અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. તેમણે તમામ ટ્રાન્સજેન્ડર્સ તેમજ અન્ય લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ગેર માન્યતાઓમાંથી બહાર નીકળી રસી પર વિશ્વાસ રાખી સૌએ રસીકરણ કરાવવું જ જોઈએ.

જયારે અન્ય ટ્રાન્સજેન્ડર મીરાંદે કંચનદેએ રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કરી કલેકટરશ્રી રેમ્યા મોહનનો કેમ્પ કરવા બદલ આભાર માની રસીકરણ માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, રસીની કોઈ સાઈડ ઈફેકટ નથી. સૌએ નિર્ભીક બની રસી લઈ કોરોના સામે સુરક્ષા કવચ મેળવવું જોઈએ. કોરોના મહામારીમાં આપણે 'સૌનો સાથ સૌના રસીકરણ' અભિયાન સાથે કોરોના ભગાડીએ તેમ ઉપસ્થિત ટ્રાન્સજેન્ડર્સ જણાવે છે.       

વેકસીન કેમ્પ અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીશ્રી મેહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કલેકટરશ્રી રેમ્યા મોહનના ટ્રાન્સજેન્ડર્સ માટે વેકિસનેશનના સૂચનને અમે લક્ષ્ય સંસ્થાના સહયોગથી સફળ બનાવી શકયા છીએ. ટ્રાન્સજેન્ડર્સને સમાજના મુખ્ય પ્રવહમાં ભેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. તેઓને કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સાથે મળી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૫ થી વધુ ટ્રાન્સજેન્ડર્સને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના ડો. પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, વિવિધ સરકારી વિભાગ, સિનિયર સીટીઝન સહીત વિવિધ ગ્રુપ માટે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે વેકિસનેશન કેમ્પ યોજયા છે. જયારે આજનો વેકિસનેશન કેમ્પ વિશેષ છે, કારણકે ટ્રાન્સજેન્ડર્સ લોકોને પણ રાજયની સંવેદનશીલ સરકાર દ્વારા આધાર પુરાવા ન હોય તો પણ વેકિસનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી તેઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

લક્ષ્ય ટ્રસ્ટના હુસેન ઘોણીયાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર્સ પણ સમાજનો એક ભાગ છે તેઓને પણ સમાન અધિકાર મળવા જોઈએ. રસીકરણ માટે કલેકટરશ્રીને રજુઆત કરતા રાજકોટ ટ્રાન્સજેન્ડર્સ માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું. રાજકોટની નવયુગ સ્કૂલ ખાતે આયોજિત કેમ્પમાં આરોગ્ય વિભાગ, સ્કૂલના જયદીપભાઈ જલુ તેમજ લક્ષ્ય ટ્રસ્ટનો સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.

(4:06 pm IST)