વિગતો જણાવતાં ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા
રાજકોટ તા. ૯: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસનું મોત કુદરતિ નહિ પણ આપઘાત હોવાનું ખુલ્યા પછી આ બનાવ હત્યાનો તો નથી ને? એવા સવાલો પણ ખડા થયા હતાં. પરંતુ પોલીસને સીસીટીવી ફૂટેજને આધારે એવા નક્કર પુરાવા મળ્યા છે કે તેના પરથી આ બનાવ આત્મહત્યાનો જ હોવાનું હાલ સ્પષ્ટ થઇ ગયું છે. તો મહંતના રૂમમાંથી મળેલી ૨૦ પાનાની સ્યુસાઇડ નોટમાં લખેલી વાતો પૈકીની એક વાત પણ સાચી પડી છે. ૩૦મીએ સેવક ગાંધીગ્રામના વિક્રમ ભરવાડે મહંત સાથે મારકુટ કરી હતી, તેવું ચિઠ્ઠી-સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. આ વાતનો પુરાવો પોલીસને મળ્યો છે. મહંત સાથે જે બે મહિલાની વિડીયો કલીપ બનાવાઇ હતી એ પૈકીની એક મહિલા પણ ઓળખાઇ ગઇ છે. ભાગી ગયેલા આરોપીઓને શોધવા ચાર ટીમો બનાવાઇ છે.
ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમાએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે અમે પુરાવા એકઠા કરવા તપાસ વેગલી બનાવી છે. જેમાં સફળતા પણ મળી રહી છે. શ્રી મીણાએ કહ્યું હતું કે મહંતે ૨૦ પેઇજની સ્યુસાઇડ નોટ લખી છે તેમાં એવું લખ્યું છે કે ૩૦મી મેના રોજ વિક્રમ ભરવાડે મારકુટ કરી હતી. આશ્રમના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ પુરાવો મળ્યો છે. ૩૦મીએ બપોરે એકથી દોઢ વચ્ચે વિક્રમ લાકડુ લઇને મહંતશ્રીના રૂમ તરફ જતો દેખાય છે અને એ ત્યારે ખુબ ગુસ્સામાં પણ લાગે છે. આ જોતાં માથાકુટ ચોક્કસપણે તેણે કર્યાનું લાગે છે.
મહંતનું તા. ૧/૬ના રોજ સવારે મૃત્યુ થયાનું જાહેર થયું હતું. એની આગલી રાતે એટલે કે ૩૧મીને રાતે નવેક વાગ્યે મહંત પોતાના રૂમમાંથી આશ્રમમાં આવેલા ગાયો માટેના દવાખાનામાં જતાં અને ત્યાંથી એક કોથળી લઇને ફરીથી પોતાના રૂમમાં જતાં દેખાયા છે. સંભવતઃ એ કોથળીમાં ગાયોની સારવાર માટે વપરાતી કે બીજી કોઇ ઝેરી દવા હોઇ શકે છે. તેઓ રાતે રૂમમાં જાય છે એ પછી આખી રાત કોઇપણ તેમના રૂમમાં જતું નથી. છેક સવારે એક સેવક પ્રવિણભાઇ તેમને જગાવડવા જાય છે એ દેખાય છે.
આ ફૂટેજ જોતાં એ સ્પષ્ટ થયું છે કે રાતે નવેક વાગ્યે મહંત રૂમમાં જાય છે એ પછી તેમણે ઝેરી દવા પી લીધી હશે. તેમણે દવા પી લીધી એ કારણે તેમનું મોત થયું? એ વાત કોણ કોણ જાણતું હતું? અને કુદરતી મોત થયું એવી વાત સોૈ પહેલા કોણે જાહેર કરી? આ વાત કોણ કોણ જાણતું હતું? એ બધાને શોધીને પોલીસ નિવેદન નોંધશે. હાલ ટ્રસ્ટીઓ તેમજ મહંતને મૃત જાહેર કરનાર તબિબના નિવેદન નોંધવા પણ તપાસ થઇ રહી છે.
ડીસીપી પ્રવિણકુમારે આગળ કહ્યું હતું કે મહંતના બે મહિલા સાથે વિડીયો ઉતારી લઇ તેના આધારે તેમને બ્લેકમેઇલ કરવામાં આવતાં હતાં. આ કારણે જ તેમણે કંટાળીને આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાઇ છે. આ વિડીયો કલીપમાં જે બે મહિલા છે તેમાંથી એકની ઓળખ પણ અમને મળી ગઇ છે. વિશેષ તપાસ બાદ આ અંગેની વિગતો જાહેર થશે.
ભાગી રહેલા આરોપીઓને પકડી લેવા ચાર અલગ અલગ ટીમો બનાવાઇ છે. જેમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. એમ. જોગરાણાની ટીમો અને કુવાડવા પોલીસની બે ટીમો અલગ અલગ દિશામાં તપાસમાં છે.
પોલીસે તપાસમાં એફએસએલની મદદ પણ લીધી છે. મહંતના રૂમમાં ગોદડા ચાદરમાં ઉલ્ટીના નિશાન છે તેમાંથી નમુના લેવાયા છે. તેના આધારે એ જાણી શકાશે કે મહંતે કેવા પ્રકારની દવા પીધી હતી. આ ઉપરાંત મહંતને આશ્રમમાં જ અગ્નિસંસ્કાર અપાયા હોઇ તેમના મૃતદેહની રાખ અને હાડકાના નમુના પણ લઇને ડીએનએ ટેસ્ટ કરાવવા મોકલયા છે. ઉપરાંત આશ્રમના સીસીટીવી ફૂટેજ, ડીવીઆર પણ કબ્જે લઇ તપાસ શરૂ કરવામાં આવી છે.
કાગદડીના શ્રીખોડિયારધામ આશ્રમના મહંતનું તા. ૧/૬ના મૃત્યુ થયા બાદ તેમનું કુદરતિ મૃત્યુ થયું છે તેવું માની ટ્રસ્ટી મંડળે તા. ૨/૬ના રોજ આશ્રમમાં અગ્નિસંસ્કાર આપી દીધા હતાં. એ પછી ત્રીજા દિવસે આશ્રમના સેવક પ્રવિણભાઇએ બાપુએ ઝેર પી લીધાની શંકા દર્શાવતાં ટ્રસ્ટીઅઓે રૂમમાં તપાસ કરતાં ૨૦ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મહંતે પોતાના જ ભત્રીજા અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, અલ્પેશના બનેવી સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતાં હિતેષ લક્ષમણભાઇ જાદવ અને રાજકોટ ગાંધીગ્રામમાં રહેતાં વિક્રમ દેવજીભાઇ સોહલા (ભરવાડ)એ મહિલા સાથેના વિડીયો ઉતારી લઇ મારકુટ કરી પોતાને હેરાન પરેશાન કર્યાની નોંધ કરી હોઇ આ સ્યુસાઇડ નોટને આધારે પોલીસે આ ત્રણેય તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ આઇપીસી ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસ કાગદડી આશ્રમમાં છેલ્લા સત્તર વર્ષથી રહીને સેવાપૂજા કરતાં હતાં. તેઓ મુળ કોડીનાર પંથકના વતની હતાં. મહંત જયરામદાસબાપુ પર આરોપીઓ અલ્પેશ, હિતેષ અને વિક્રમે અવાર-નવાર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. મહંતના બે મહિલા સાથે જુદા જુદા છ વિડીયો બનાવી લેવાયા હતાં. એ વિડીયો કલીપને આધારે મહંતને બ્લેકમેલ કરી ત્રણેયએ આર્થિક લાભ મેળવ્યો હતો અને હજુ પણ આ લાભ મેળવવાનો ચાલુ રાખ્યો હતો. આ રીતે ૨૦ લાખ આસપાસ રૂપિયા પડાવી લીધા પછી પણ ત્રાસ ચાલુ હોઇ મહંતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે.ગઢવીની ટીમના પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. બી. જોગરાણા અને તેમની ટીમો તથા કુવાડવા પોલીસ સ્ટેશનના રાઇટર હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા તથા ડી. સ્ટાફની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ટીમો અલગ અલગ દિશામાં આરોપીઓને શોધવા નીકળી ગઇ છે.