Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટમાં વધુ ત્રણ ટેસ્ટીંગ બુથ થશે કાર્યરત: 104 સેવામાં વધુ 10 વાહનોનો ઉમેરો કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગ સાથે જુદાજુદા છ સ્થળોએ કોરોના નિ:શૂલ્ક વેક્સીનેશન કેમ્પ યોજાશે:"૧૦૪ સેવા"માં વધુ ૧૦ વ્હીકલનો ઉમેરો અને વધુ ૩ ટેસ્ટિંગ બૂથ શરૂ કરવા નિર્ણય

રાજકોટ : અત્યારે કોરોના વાયરસના સંક્રમણ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદાજુદા પગલાંઓ લેવામાં આવી રહયા છે. જેમાં અત્યારે ૪૫ વર્ષથી વધુ ઉમરના નાગરિકોને શકય તેટલી ઝડપથી કોરોના સામેની વેક્સીન આપવા પર ભાર મુકવામાં આવી રહયો છે. શહેરની વિવિધ સંસ્થાઓ તરફથી પણ મહાનગરપાલિકાને ઉમદા સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે જે પ્રશંસનીય બાબત છે. સંસ્થાઓના સહયોગ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીનેશન કેમ્પ માટે અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાં આવતીકાલે તા.૮-૪-૨૦૨૧ના રોજ અલગઅલગ સંસ્થાઓના સહયોગ સાથે કુલ છ સ્થળોએ નિ:શૂલ્ક વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
  આવતીકાલે યોજાનારા વેક્સીનેશન કેમ્પ વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, શહેરની જુદીજુદી સંસ્થાઓ જેવી કે, સરદારધામ, કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ, ગૌસ્વામી સમાજના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે ૯.૦૦ થી ૫.૦૦ વાગ્યા દરમ્યાન વોર્ડ નં.૧૦માં "સરદારધામ", મારવાડી સ્ટોક એક્ષ્ચેન્જ સામે, નાનામવા રોડ ખાતે, તથા વોર્ડ નં.૧૧માં એસ.કે.પી.સ્કૂલ, પ્રણામી પાર્ક, ૪૦ ફૂટ રોડના છેડે, મવડી પ્લોટ ખાતે, તથા વોર્ડ નં.૩માં શાળા નં.૩૩, પોપટપરા મેઈન રોડ ખાતે, તથા વોર્ડ નં. ૧૦માં શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટની વાડી, બ્રહ્મસમાજ બસ સ્ટોપ પાસે, રૈયા રોડ ખાતે તથા વોર્ડ નં. માં શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, નીલકંઠ સિનેમા સામે, અને સોમનાથ સ્કૂલ, રાજલક્ષ્મી સોસાયટી પાસે, રાજકોટ ખાતે વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવશે.
 વિશેષમાં, મ્યુનિ. કમિશનરએ એમ પણ જણાવ્યું હતું કે, હેલ્પલાઈન નંબર ૧૦૪ની સેવાને મળી રહેલા પ્રતિસાદને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાફલામાં વધુ ૧૦ વ્હીકલનો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. હાલ ૧૦૪ ની સેવામાં ૨૦ વ્હીકલ નાગરિકોની સેવામાં કાર્યરત્ત છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાનું નિદાન કરવા માટે કુલ પાંચ ટેસ્ટિંગ બૂથ ચલાવવામાં આવી રહયા છે. જેમાં હવે વધુ ત્રણ ટેસ્ટિંગ બૂથનો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અનુસાર મવડી ચોકડી, આકાશવાણી ચોક અને રામાપીર ચોક ખાતે આ ટેસ્ટિંગ બૂથ કાર્યરત્ત થશે.

(10:39 pm IST)