Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

'હું સારો દીકરો બની ન શકયો' ચીઠ્ઠી લખી મીકેનીકલ એન્જીનિયર હર્ષદ કનોજીયાનો ફાંસો ખાઇ આપઘાત

યુનિવર્સિટી રોડ પેરામાઉન્ટ પાર્કમાં બનાવ : સુરેન્દ્રનગરથી ૨૦ દિ પહેલા જ રાજકોટ આવ્યો'તો : કારણ જાણવા તપાસ

રાજકોટ,તા. ૭: યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્કમાં પેઇંગગેસ્ટ તરીકે રહેતા મીકેનીકલ એન્જીનીયરે 'હું સારો દીકરો બની ન શકયો' મીઠ્ઠી લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે પેરેમાઉન્ટ પાર્ક શેરી નં. ૩માં પિતરાઇ નરશીભાઇ સાથે પેઇંગગેસ્ટ તરીકે રહેતા હર્ષદ જગદીશભાઇ કનોજીયા (ઉવ.૨૫)એ ગઇ કાલે રૂમમાં છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. શાપરમાં નોકરી કરતા પિતરાઇભાઇ નરશીભાઇ ઘરે આવ્યા ત્યારે રૂમનો દરવાજો ખખડાવતા હર્ષદે દરવાજો ન ખોલતા દેકારો મચાવતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા અને દરવાજો તોડીને અંદર હર્ષદ લટકતી હાલતમાં જોવા મળતા કોઇએ તાકીદે જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી પીયુષભાઇએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઇ કે.કે.ઝાલા તથા રાઇટર પ્રદિપભાઇ કોટકે તપાસ આદરી હતી. તપાસ આદરી હતી તપાસ દરમ્યાન મૃતક હર્ષદ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા સુરેન્દ્રનગર શાકભાજી વેચે છે. તેણે મીકેનીકલ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે વીસ દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો અને ઇન્દીરા સર્કલ પાસે એક ઓફીસમાં નોકરી કરતો હતો તેના ખીસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં 'હું સારો દીકરો બની ન શકયો, હું કમાઇ શકુ તેમ નથી, કંટાળી ગયો છું, આત્મહત્યા કરૃં છું. આમાં કોઇ જવાબદાર નથી તેમ લખ્યુ હતું.' પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(12:46 pm IST)