Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરવા માટે વ્યવસ્થા ગોઠવાઈ : સુપર માર્કેટ – મોલ સાથે સ્વીગી અને ઝોમેટોનું ટાઈઅપ કરાવાયું : ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા.25: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ શહેરમાં વાઈરસ સંક્રમણ પ્રસરતું અટકાવવાના પ્રયાસોના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા લોકોને શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર ન નીકળવું પડે તે પ્રકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમણે ઘેર બેઠા બેઠા જ કે પછી પોતાના ઘરની નજીકમાં આવેલી કરીયાણાની દુકાનેથી જ અનાજ, કઠોળ ઇત્યાદિ આવશ્યક વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી રહી છે, તેમ મ્યુનિસિપલ કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. 

  મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ ઘેર બેઠા મળી રહે તે માટે  બિગ બઝાર, રિલાયન્સ, ગોલ્ડન સુપર માર્કેટ વગેરે સાથે એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં આ સુપર મર્કેટ – મોલ સાથે સ્વીગી અને ઝોમેટોનું  ટાઈઅપ કરાવવામાં આવેલ છે. લોકો લોકડાઉન પીરીયડ દરમ્યાન ઉપરોક્ત મોલ કે સુપર માર્કેટને ફોન કરીને પોતાને જરૂરી હોય એ આવશ્યક ચીજોની ડીમાંડ કરી શકે છે અને પછી સ્વીગી કે ઝોમેટોના માધ્યમથી લોકોને પોતાના ઘેર જ આવશ્યક ચીજોની હોમ ડિલિવરી મળી રહેશે. હાલ ફોન કોલથી ડીમાંડ કરવાની સેવા શરૂ થઇ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા એ દિશામાં પણ પ્રયાસ કરી રહી છે જેમાં આગામી સમયમાં સ્વીગી કે ઝોમેટોની એપ મારફત પણ લોકો ડીમાંડ કરી શકે. હાલ તુર્ત માત્ર ફોન કોલથી જ જીવન જરૂરી એવી આવશ્યક ચીજોની ડીમાંડ કરી શકશે, પરંતુ એપથી અત્યારે નહી.

કમિશનરશ્રીએ વધુમાં અન્ય એક વ્યવસ્થા વિશે વાત કરતા જણાવ્યું કે, કરીયાણાના નાના વેપારીઓ મોટી સુપર માર્કેટ જેવી કે, બિગ બઝાર, રિલાયન્સ, ગોલ્ડન સુપર માર્કેટ વગેરેને ફોન કરીને તેઓની પાસેથી આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવી શકશે. આ સુપર માર્કેટ અને મોલમાં રીટેઈલ એટલે કે છુટક વેંચાણ બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને લોકો ત્યાં ભીડ ના કરે. સુપર માર્કેટ અને મોલ હવે હોલસેલ વેંચાણ જ કરશે. સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે, શહેરમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓની કોઈ જ કમી નથી. નાગરિકોને ચિંતા કરવાની જરાકારવા પણ જરૂર નથી. લોકો તેમના ઘરમાં આવશ્યક ચીજોનો બિનજરૂરી સંગ્રહ ના કરે.

 કમિશનરશ્રીએ નાગરિકો જોગ એક નિવેદનમાં એમ કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં લોકો જરા પણ ઉચાટ ના અનુભવે. વહીવટી તંત્ર નાગરિકોની આવશ્યકતાઓ અંગે ચિંતા કરી રહયું છે અને તેઓની મુશ્કેલી દુર કરવા શક્ય તમામ પ્રયાસો કરે છે. રાજકોટમાં આવશ્યક ચીજોની કોઈ જ કમી નથી એટલે એ વિષયમાં લોકો નિશ્ચિંત જ રહે. બસ લોકો માત્ર પોતપોતાના ઘરમાં જ રહી હાલના આ સમયમાં સરકારશ્રી અને તંત્રને સહયોગ પ્રદાન કરે એ વર્તમાન સમયની માંગ છે.

(5:55 pm IST)