Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રૈયા રોડ શિવપરાના અમીનભાઇ મેમણનું બેભાન હાલતમાં મોત

તોપખાનાના સતિષભાઇ ઝાલાનું બેભાન હાલતમાં મોતઃ વાલ્મિકી પરિવારનો એક જ આધાર હતાં

રાજકોટ તા. ૮: રૈયા રોડ પર શિવપરામાં રહેતાં અમીનભાઇ કાસમભાઇ થારાની (મેમણ) (ઉ.૪૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ વી. સી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

બીજા બનાવમાં તોપખાના-૪માં રહેતાં સતિષભાઇ મગનભાઇ ઝાલા (વાલ્મિકી) (ઉ.૩૬) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક પરિવારના એકના એક પુત્ર હતાં. સંતાનમાં ચાર દિકરીઓ છે. તે પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્ર.નગરના સુરેશભાઇ જોગરાણા અને બાબુલાલ ખરાડીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)