Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વીજ તંત્રના પપ હજાર કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળ્યો નથીઃ અન્ય પ્રશ્નો અંગે પણ સરકારની ઘોર ઉપેક્ષા

કલેકટર-પોલીસ કમિશનર-લેબર કમિશનર-એમ.ડી.-મુખ્ય ઇજનેર આવેદન પાઠવતી સંકલન સમિતિ : ૧૪મીએ ૧ દિ'ની હડતાલઃ ૩૦ હજારથી વધુ કર્મચારીઓના રજા રિપોર્ટઃ વીજ તંત્રમાં પ હજાર કર્મચારીઓની અછત...

વીજ કર્મચારીઓ-આગેવાનોએ કલેકટર કચેરીએ દેખાવો યોજયા બાદ કલેકટરને આવેદન પાઠવ્યું તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૮ :.. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામુહિક લાભો જેવા કે સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ. આર. એ અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬ થી ચુકવી આપવા, જીએસઓ ૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલીક ભરતી કરવી. હાલની મેડીકલ સ્કીમ સુધારવી, હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન-ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવુ તે સહિત અનેક માગણીઓ તા. ૭-૯-ર૦૧૮ થી કરવામાં આવેલ હતી. પરંતુ છેલ્લા ર વર્ષથી વધુ સમયથી કોઇ સકારાત્મક નિરાકરણ નહિ આવતા આખરે ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એસોસીએશન દ્વારા સયુકત લડત કરવાની નોટીસ તા. ર૧-૧૦-ર૦૧૯ થી આપવામાં આવેલ. પરંતુ નિયત કરેલ સમય મર્યાદામાં મેનેજમેન્ટ તરફથી કોઇ મીટીંગ કે ચર્ચા નહી થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. ૧૪ મીએ માસ સીએલ પણ ૩૦ હજાર કર્મચારીઓએ મૂકી દીધી છે,  આજે સંકલન  સમિતિએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવેલ કે, ગુજરાતમાં અનેક કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પુર અને વાવાઝોડાની પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખુબ ટૂંકા સમયમાં પૂર્વવર્ત કરી ગુજરાતની પ્રજાની સુખાકારી માટે જીવનમાં જોખમે વીજ કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી છે.

કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ અને પ્રોજેકટને કામના ભારણ મુજબ ખુબ ઓછા સ્ટાફ હોવા છતાં સમયસર અમલીકરણ કરી સરકારશ્રીની કિર્તિમાં વધારો કરેલ છે તથા ઉર્જા ક્ષેત્રે વિકાસ બમણો કરેલ છે તેમજ પ્રજાલક્ષી કામગીરીને સમયસર કરી વીજ કર્મચારીઓ-અધિકારીઓ એ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાબીત કરેલ છે.

છેલ્લા ૭ વર્ષથી ભારતભરની સરકારી વીજ કંપનીઓમાં ગુજરાતની ચારેય ડીસ્કોમ પ્રથમ સ્થાને છે અને ગુજરાત સરકારનું ગૌરવ વધારેલ છે આ રેટીંગ કેન્દ્ર સરકારશ્રીના ઉર્જા મંત્રાલય દ્વારા નિર્ધારીત કરેલ હોય અને તે મુજબ હાંસલ કરવામાં આવેલ છે. વીજ કર્મચારીઓ-અધિકારીઓની ઉત્તમ કામગીરી થકી ગુજરાતના વીજ ગ્રાહકોને આપેલ ઉતમ વીજ સુવિધાઓ પુરી પાડવા પરિણામ સ્વરૂપે છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ સંપૂર્ણ આર્થિક આત્મ નિર્ભર અને સ્વાયત સંસ્થા છે અને પોતાનું સમગ્ર નાણાકીય બજેટને સ્વતંત્ર રીતે આયોજન કરી પોતાનો વહીવટ, સંસ્થનો ખર્ચ ચલાવે છે. તેમજ ગુજરાત સરકાર ઉપર કોઇ આર્થિક બોજો વીજ કર્મચારીઓ - અધિકારીઓને આપવા પાત્ર લાભોનો પડતો નથી.

ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતના તમામ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરી રેટીંગ આપવામાં આવેલ છે જે કામગીરી આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ તેમાં પણ રાજયના ઉર્જા ખાતાને સર્વોચ્ચ રેટીંગ મળેલ છે. જે ફકત ઉર્જા ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓની  કામગીરીને  પ્રમાણીક કરેલ છે.

ઉપરોકત સત્ય અને વાસ્તિવકતાને ધ્યાને લીધા વગર વીજ કર્મચારીઓને પોતાના સાચા હકકો અને આર્થિક લાભો અને મળવાપાત્ર સવલતોથી વંચિત રાખેલ છે જે માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લમીટેડને ગુજરાત ઉર્જા સયુકત સંકલન સમિતિ દ્વારા અવાર નવાર સરકારશ્રીના પદાધિકારીઓ અને મેનેજમેન્ટને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઇ સકારાત્મક નિરાકરણ નહિ આવતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ વીજ કર્મચારીઓ અને અધિકારીઓને પડેલ છે જે અંગે અમારી સાચી અને ન્યાયીક માગણીઓ પુરી કરવા અનિવાર્ય બનેલ છે.

આમ, આગામી તા. ૧૪-૧૧-ર૦૧૯ ના રોજ ગુજરાતની તમામ ડિસ્કોમ, પાવર સ્ટેશન અને જેટકોના કર્મચારીઓ અને અધિકારીઓ સામુહિક રજા (માસ સી. એલ.) ઉપર રહી પોતાનો વિરોધ પ્રદર્શીત કરશે જેની નોંધ લેશો. અને આ સમય દરમ્યાન વીજ વિક્ષેપ અને જે પરિસ્થિતિ ઉભી થશે તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે જેની નોંધ લેશો. આવેદન પત્ર શ્રી બી. એમ. શાહ, બળદેવભાઇ પટેલની અધ્યક્ષતામાં અપાયું હતું.

(3:34 pm IST)