Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભકિતનગર સ્ટેશન રોડ પર ગ્રેટર ચેમ્બર રાજકોટ દ્વારા છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીની અપીલને માન આપી

રાજકોટ, તા. ૧પ : વર્તમાન ઉનાળાની ઋતુને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જાહેર જનતાના હિતમાં શહેરની વિવિધ સંસ્થાઓને કરેલી એક જાહેર અપીલને માન આપીને ગ્રેટર ચેમ્બર રાજકોટ ( ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ) દ્વારા આજથી શહેરના ભકિતનગર સ્ટેશન મેઈન રોડ પર એડિકો સ્પેર્સની બાજુમાં નિૅંશૂલ્ક ધોરણે ઠંડી છાસ અને શીતળ જળ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર નાગરિકોને છાસ અને પાણીની સાથોસાથ વરિયાળીના ઠંડા શરબતનું પણ વિતરણ કરવામાં આવી રહયું છે.

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરાયેલા અને સમગ્ર ઉનાળા દરમ્યાન ચાલુ રહેનાર આ છાસ વિતરણ કેન્દ્રમાં મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીનાં હસ્તે  છાસ વિતરણનો પ્રારંભ કરવામાં આવેલ હતો.

આ છાસ-જળ-શરબત વિતરણ કેન્દ્ર ગ્રેટર રાજકોટ ચેમ્બરના ડાઇરેકટરઓનાં સાથસહકારથી શરૂ કરવામાં આવેલ છે. આજે આ કેન્દ્રનાં પ્રારંભે અતિથિવિશેષ તરીકે પટેલ બ્રાસનાં મેનેજિંગ ડાઇરેકટર શ્રી રમેશભાઈ પટેલ, હાઈબોન્ડ સિમેન્ટનાં ડાઇરેકટર શ્રી મનસુખભાઈ પાણ, ઇન્ડિયા બ્રાસના માલિક શ્રી નારણભાઈ પટેલ, તથા ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ઉપરાંત ગ્રેટર રાજકોટ ચેમ્બરના પદાધિકારીશ્રીઓ અને બોર્ડ મેમ્બર્સ ઉપસ્થિત રહયા હતાં.

મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ કરેલી અપીલને માન આપીને ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા જે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે તેવી જ રીતે અન્ય સેવાકીય અને વ્યવસાયિક સંગઠનો પણ હાલની ઉનાળાની સીઝનમાં શહેરમાં વધુ ને વધુ આવા કેન્દ્ર શરૂ કરાવે તે જાહેર હિતમાં ઇચ્છનીય છે ત્યારે  મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ સામાજિક સેવાકીય સંગઠનોને શહેરમાં ઉનાળા દરમ્યાન વિવિધ માર્ગો પર છાસ – જળ વિતરણ કેન્દ્ર જાહેર હિતમાં શરૂ કરે તેવી હાર્દિક અપીલ કરી છે.

(4:23 pm IST)