Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોકોમાં જ્ઞાતિ- જાતિના ભાગલા પાડવાની કોંગ્રેસી ચાલ નિષ્ફળઃ રાષ્ટ્રવાદ જ સર્વોપરીઃ રાજુભાઈ

રાજકોટ,તા.૧૫: રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના  ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને વિજયી બનાવવા અને કેન્દ્રમાં ફરી એક વાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચવા જનતા સ્વયંભું પ્રચાર-પ્રસારના કાર્યમાં લાગી ગઈ છે એવું જણાવતા સૌરાષ્ટ્ર-કચ્છનાં ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી કોઈ જ વાદ કે વિવાદ કે જ્ઞાતિ-જાતિનાં મતભેદ વિના મોહનભાઈને વિજયમાળા પહેરાવવા રાજકોટ શહેર ઉપરાંત ટંકારા, પડધરી, વાંકાનેર, મોરબી, જસદણ વિધાનસભા બેઠકનાં મત વિસ્તારમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેર-શહેર, ગામે-ગામ હમારા નેતા 'કૈસા હો મોહનભાઈ જૈસા હો'નાં નારા ગુંજી રહ્યાં છે. ઉનાળાનાં ધોમધખતા તાપમાં પણ શહેર અને ગામડાના ભાજપના અગ્રણી નેતાઓ અને નાના-મોટા કાર્યકરો જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વથી પ્રભાવિત થઈને મતદાતાઓ પણ રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે.

રાજકોટ લોકસભા મતવિસ્તારનાં ભાજપનાં ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના નીચી માંડલ નામના ગામમાં અતિ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા છે. તેમના પિતા ખેડૂત હતા તેથી ખેતી તેમને વારસામાં મળી. મોહનભાઈ કુંડારિયાની આર્થિક સ્થિતી પણ બહુ સારી નહોતી તેથી તેઓ વધુ ભણી ના શકયા પણ તેમણે ખેડૂતો-ગરિબો-બેરોજગારો માટે મહેનત કરીને પોતાની રાજકીય કારકિર્દી બનાવી છે. નાની ઉંમરથી જ તેઓ સહકારી ક્ષેત્રમાં સક્રિય થઈ ખેડૂતોને મદદ કરવા હંમેશાં તત્પર-તૈયાર રહ્યાં છે. આ કારણે ધીરે-ધીરે ખેડૂતોમાં તેમની આગવી ઓળખ ઉભી થઈ છે.

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપે ઘણા મજબૂત ખેડૂત આગેવાનોની પ્રજાને ભેટ ધરી છે એમાના એક ખેડૂત આગેવાન એટલે મોહનભાઈ કુંડારિયા. જેઓ ૧૯૯૫માં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને પછી સળંગ પાંચવાર ધારાસભ્યપદે ચૂંટાઈ આવ્યા છે. ભૂતકાળમાં તેઓ  કેશુભાઈ પટેલે ખાલી કરેલી ટંકારા બેઠક પરથી ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ એમ સળંગ પાંચવાર જીત્યા હતા. કોઇપણ ચૂંટણી હોય મોહનભાઈ કુંડારિયા સતત જીતતા રહ્યા છે તેનું એકમાત્ર કારણ તેમણે આ વિસ્તારમાં કરેલાં કામો છે.

૨૦૧૪માં રાજકોટ લોકસભા બેઠક પરથી ભારે બહુમતી સાથે જીત મેળવી સાંસદ બન્યા બાદ સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી મળે તે માટે મોહનભાઈ કુંડારિયા સતત પ્રયત્નશીલ રહ્યા. આ ઉપરાંત ખેડૂતોને સસ્તું બિયારણ અને સમયસર રાસાયણિક ખાતર મળે એ માટે પણ તેમણે જહેમત ઉઠાવી છે. ખેડૂતોનાં પ્રશ્નો પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા પ્રશંસનીય છે. આ સિવાય રાજકોટ-સૌરાષ્ટ્રને રાજકોટ-મુંબઈ, રાજકોટ-દિલ્હીની સીધી વિમાન અને ટ્રેન સેવા મળે તે માટે પણ દ્યણા પ્રયત્નો કર્યા અને અંતે રાજકોટને ટ્રેન-વિમાની સેવા અપાવી છે.

મોહનભાઈ કુંડારિયાએ ૨૦૧૪માં રાજકોટ લોકસભાની બેઠક જીત્યા બાદ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કેન્દ્રિય પ્રધાન તરીકે પણ અસરકારક કામગીરી કરી છે. કેન્દ્રમાં રાજય કક્ષાના કૃષિ પ્રધાન તરીકે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાતર અને પાક વિમા જેવી કાયમી કનડતી સમસ્યાઓનો નિવેડો લાવવા તેમણે સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. ઉપરાંત રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મળીને પણ તેમણે રાજકોટ લોકસભા વિસ્તારનાં વિકાસ માટે કાર્ય કર્યા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:54 pm IST)