Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ભાજપને રોકવા લોકોએ જાગૃત બનવું જ પડશે

જસદણ પંથકમાં ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂની સટાસટીઃ આજે રાત્રે ભાડલા- ચોટીલા હાઇવે ખાતે લોકડાયરોઃ આવક ગૌશાળાને અર્પણ કરાશે

રાજકોટઃ તા.૬, જસદણ પંથકમાં ગૌશાળાના લાભાર્થે યોજાઇ રહેલા લોકડાયરાની ગામડે ગામડે ભારે જમાવટ થઇ રહી છે. લોકસાહિત્ય કલાકારો મન મુકીને વરસતા ગ્રામજનો પણ આફ્રિન પોકારી રહયા છે અને સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ પણ આકરા શબ્દોમાં સત્ય હકીકત સાથે ભાજપની ઝાટકણી કાઢતા કહયું કે રાફેલ વિમાન હોય કે પછી શિક્ષણ હોય અથવા તો વિદ્યાર્થીઓના  પરીક્ષાના પેપર લીક કરવાનું કૌભાંડ ભાજપની ગળથુથીમાં છે. આ તરકટીયા બની બેઠેલા આગેવાનોને મતદારોએ હવે ઓળખી લેવાની જરૂર છે.

'' ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'' દ્વારા લોકશાહી લોકજાગરણ અંતર્ગત જસદણ પંથકમાં ગામડે ગામડે ફરી રહયા છે. લોકશાહી બચાવવા અને ગાંધીજીના સિંધ્ધાત વિચારને વધુ મજબુત બનાવવા પ્રયાસ અને પ્રચાર થઇ રહયો છે. સાથો સાથ જસદણની પેટાચુંટણીમાં યોગ્ય ઉમેદવાર, પ્રમાણીક માણસ, નિષ્ઠાવાન વ્યકિત અને બેદાગ ઉમેદવારને મત આપવા અપીલ કરવામાં આવી રહી છે શિક્ષણનો વેપાર કરતા સરકારી નોકરીમાં સગાવ્હાલાને પાછલા બારણેથી ઘુસાડતા અને કાયમ માટે વર્ષોથી પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરતા ઉમેદવારને જાકારો આપવા હાંકલ કરવામાં આવી રહી છે. પક્ષાપક્ષીથી દુર રહી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા લોકોને વિંનતી કરવામાં આવી છે.

આજે ગુરૂવારે રાત્રે ૮ કલાકે સીતારામ ચોક ભાડલા - ચોટીલા હાઇવે, મવલી પ્લોટ વિસ્તાર ખાતે ભવ્ય લોકડાયરો યોજાશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર રમેશભાઇ પટેલ, મિતલબેન પટેલ, અને અનિલભાઇ પટેલ લોકસાહીત્યનો રસથાળ પીરસશે. આ લોકડાયરાનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રીત કરાયા છે. લોકડાયરામાં મળેલી પુરસ્કારની તમામ રકમ ગૌશાળાને અર્પણ કરાશે.

આ અંગે ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ (મો.૯૮૨૪૦ ૪૩૭૦૩) એ અંતમાં કહયું હતુ કે આરએસએસ દ્વારા ડર અને ભયનો માહોલ ઉભો કરી દેશભકિતની ખોટી વાતો કરે છે. મોટા મોટા કૌભાંડો કરે છે. આવનાર દિવસોમાં દેશમાં મોટો ખતરો સર્જાશે તેવી મને ભીતી છે માટે માલીકોએ જાગવુ પડશે લોકોએ જાગૃત બનવુ પડશે અને દેશને બચાવવા માટે ભાજપને રોકવા માટે માલીકોએ એટલે કે લોકોએ જાગૃત બનવુજ પડશે સજાગ રહેવુજ  પડશે. શિક્ષણમાં વાલીઓ સરેઆમ લૂંટાઇ રહયા છે. શિક્ષણમાફીયા બેફામ બન્યા છે, જમીન કૌભાંડમાં ભાજપના મડતીયાઓ બેફામ બન્યા છેે. તલાટી મંત્રીની પરિક્ષાના પેપર ફોડવામાં ભાજપના આગેવાનોના નામ જગજાહેર છે  તેવીજ રીતે લોકરક્ષકદળની પરિક્ષાના પેપરલીક કરવામાં ભાજપના સતાવાર સદસ્યના નામ ખુલ્યા છે મતલબકે ભ્રષ્ટાચાર કૌભાંડકે તરકટ ભાજપને ગળથુથીમાં છે ત્યારે આ પક્ષને હવે રોકવાની જરૂર છે, લોકોની જવાબદારી છે તેમ શ્રી રાજયગુરૂ એ અંતમાં કહયું હતુ.

(4:10 pm IST)