Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

'વયોવૃધ્ધ જુવાન' રણજી ક્રિકેટર મૂળુભા જાડેજાની અંતિમ ઇનિંગ પૂર્ણઃ ૮૮ વર્ષે નિધન

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા, જામશત્રુશૈલ્યજી,વિનુ માંકડ, સલીમ દુર્રાની, નરી કોન્ટ્રાકટર અને વશંત વોરા (ટાઇગર) સાથે રણજી ટ્રોફીની અનેક યાદગાર ઇનિંગો રમી હતી

તાજેતરમાં રાજકોટ જીમખાના ખાતે પૂર્વ રણજીટ્રોફી ક્રિકેટર વસંતભાઇ વોરા (ટાઇગર) દ્વારા ચલાવાતા ક્રિકેટ કોચીંગ કેમ્પની મુલાકાતે ભારતના ધુવાંધાર ખેલાડી પૂર્વ ઓલ રાઉન્ડર કપિલિદેવ આવ્યા ત્યારની યાદગાર ક્ષણોમાં સ્વ.મુળુભા જાડેજા, કપિલ દેવ અને વસંતભાઇ વોરા (ટાઇગર) નજરે પડે છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રના 'વયોવૃધ્ધ જૂવાન' તરીકે પ્રખ્યાત રણજી ક્રિકેટર મુળુભા જાડેજાની જીવનના ૮૮ વર્ષે અંતિમ ઇનિંગ પૂર્ણ થતા તેના પરિવાર સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા, જામશત્રુશૈલ્યસિંહજી, વિનુ માંકડ, સલીમ દુર્રાની, નરી કોન્ટ્રાકટર અને વસંત વોરા (ટાઇગર) સાથે રણજી ટ્રોફીથી અનેક યાદગાર ઇનિંગો રમનાર મુળુભા જાડેજાને અભ્યાસની સાથે સાથે ક્રિકેટ પ્રત્યે ઘણો લગાવ હોવાથી ક્રિકેટ ક્ષેત્રમાં ઝંપલાવી કિશોર વયમાં જ ૧૯૪૨ થી ૧૯૪૬ દરમિયાન હિલ્ડફિલ્ડ ટુર્નામેન્ટમાં પણ હિર ઝળકાવી ચૂકયા હતા.

સૌરાષ્ટ્રની રણજી ટમના પૂર્વ કેપ્ટન મુળુભા જાડેજા સાથે તે વખતે જુનાગઢમાં રઇસ મહંમદ, વઝીર મહંમદ અને હનિફ મહંમદ પણ રમ્યા હતા... કહેવાય છે કે, આ ત્રણેય ક્રિકેટરોએ પાકિસ્તાન જઇ ત્યાં દિગ્ગજ ક્રિકેટરોમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

દેશી રજવાડાના એકીકરણ વખતે કાઠીયાવાડનું સૌરાષ્ટ્રમાં વિલિનીકરણ થયું ત્યારથી વર્ષ ૧૯૬૫ સુધી તેઓ સૌરાષ્ટ્ર વતી ક્રિકેટ રમતા રહ્યા. ૧૯૪૫ થી ૧૯૬૪ સુધી રેલ્વે તરફથી રમ્યા હતા... સાથે સાથે ૩૧ ફર્સ્ટ કલાસ મેચ પણ રમ્યા હતા. તેમને ઇંગ્લેન્ડમાં લેન્કશાયર લીગ, પ્રેસ્ટવીચ ક્રિકેટ કલબ, ટોંગ ક્રિકેટ કલબ,બોલ્ટન લીગમાં સ્થાન મળ્યું હતું.ક્રિકેટમાં અલગ જ પ્રતિભા ઉભી કરી હોવાથી વર્ષ ૧૯૫૯માં મુળુભાને સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન બનવાનું ગૌરવ મળ્યુ હતુ.

સૌરાષ્ટ્રમાં મહિલા ક્રિકેટ એસોસિએશનની સ્થાપના કરવામાં મુળુભા જાડેજાનું મોટુ યોગદાન રહ્યુ હતુ... ત્રણ પુત્રો અરૂણસિંહ, ધર્મેન્દ્રસિંહ અને બિમલસિંહ છે... જેમાં બિમલસિંહ જાડેજા પણ પિતાના પગલે પગલે સૌરાષ્ટ્રની ટીમ વતી રણજી રમી ચૂકયા છે.

(12:46 pm IST)