Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ફિલ્મ 'પદ્માવતી' ઉપર દેશભરમાં પ્રતિબંધ લગાવો : ૨૭મીએ ચિતોડમાં જબરદસ્ત પ્રદર્શન

રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદે રાજભા ઝાલા - રાજકોટના અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજા અને સૌરાષ્ટ્ર - કચ્છ પ્રવકતા તરીકે ક્રિપાલસિંહ ઝાલાની વરણી : ગુજરાતમાં ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવતા આભાર વ્યકત

રાજકોટ, તા. ૧૩ : શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક ઠા. લોકેન્દ્રસિંહ કાલવીજીના આદેશ અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણાની અનુમતીથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદે શ્રી રાજભા ઝાલા (મો.૯૮૨૫૪ ૦૬૬૮૬) તેમજ શ્રી કૃષ્ણસિંહ જાડેજા (મો.૯૮૯૮૫ ૦૦૮૦૦) (મોડપર)ની રાજકોટના અધ્યક્ષપદે તથા સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા તરીકે શ્રી ક્રિપાલસિંહ ઝાલા (હડાળા)ની વરણી કરવામાં આવી છે.

રાજપૂત કરણી સેનાના આગેવાનોએ ગુજરાતમાં ફિલ્મ ''પદ્માવતી'' ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા રાજય સરકારનો આભાર વ્યકત કરવામાં આવેલ. સાથોસાથ આજે બપોરે અકિલા સર્કલ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવેલ. જેમાં રાજપૂત સમાજના તમામ આગેવાનો તેમજ રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ જોડાઈ હતી અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.

આગેવાનોે વધુમાં જણાવેલ કે આ ફિલ્મ ઉપર હજુ સુધી દેશભરમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. જેના વિરોધમાં આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ ચિતોડ ખાતે જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવશે. જે જગ્યાએ મા પદ્માવતીએ જોહર કર્યુ હતું તે જ સ્થળે દેશભરમાંથી રાજપૂત સમાજના આગેવાનો હાજર રહેશે. રાજકોટથી પણ મોટી સંખ્યામાં આગેવાનો જનાર હોવાનું જણાવાયું હતું.તસ્વીરમાં રાજપૂત કરણી સેનાના આગેવાનો સર્વેશ્રી રાજભા ઝાલા, કૃષ્ણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, જે. પી. જાડેજા, રણજીતસિંહ જાડેજા અને ભરતસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૬)

(4:17 pm IST)