રહસ્યમય હત્યાઃ જ્યાં હત્યા થઇ તે શૌચાલય, લાશ જે હાલતમાં પડી હતી તે દ્રશ્ય, ઘટના સ્થળે એસીપી પ્રદિપસિંહ જાડેજા, પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા તથા ક્રાઇમ બ્રાંચનો કાફલો અને હત્યાની વાતે ટોળા ઉમટી પડ્યા તે તથા બાથરૂમમાં પડેલુ ટિફીનનું સ્ટેન્ડ અને હત્યાનો ભોગ બનનાર પ્રદિપ કુશવાહાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૦: ભગવતીપરા શિવાજી ચોક-૨માં રહેતાં અને શૌચાલયનો કોન્ટ્રાકટ ધરાવતો મુળ યુ.પી.નો ૨૧ વર્ષનો યુવાન પ્રદિપ રાજેન્દ્રભાઇ કુશવાહા (ઉ.૨૧) ગત ૧૬મીએ સાંજે ભેદી રીતે ગૂમ થઇ ગયો હતો. આ યુવાનની આજે હત્યા કરાયેલી લાશ તેના જ કોન્ટ્રાકટ હેઠળના ૮૦ ફુટ રોડ પર આવેલી શેઠ હાઇસ્કૂલની સામેના શૌચાલયના બાથરૂમમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઇ છે. આ બાથરૂમમાં તાળુ લગાવેલુ હતું, અંદરથી ખુબ જ દૂર્ગંધ આવતી હોઇ કર્મચારીએ પોલીસને જાણ કરતાં પોલીસે તાળુ તોડીને જોતાં પ્રદિપની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ શૌચાલયમાં કર્મચારી તરીકે બે વર્ષથી કામ કરતો બિહારનો રાજૂ વર્મા અને સાથેનો અન્ય એક શખ્સ ભેદી રીતે ગાયબ હોઇ તેના તરફ શંકા ઉદ્દભવી છે. જો કે હત્યા કઇ રીતે થઇ? તે જાણવા પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. તો હત્યાના કારણ અંગે પણ હાલ રહસ્ય છે.
ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ભગવતીપરામાં રહેતાં મુળ યુ.પી.ના રાજેન્દ્રભાઇ પરશુરામભાઇ કુશવાહા અને તેનો મોટો દિકરો પ્રદિપ (ઉ.૨૧) શહેરમાં સહકારનગર, સોરઠીયાવાડી અને શેઠ હાઇસ્કૂલ પાસે આવેલા જાહેર શૌચાલયોના અગિયારેક વર્ષથી કોન્ટ્રાકટ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રદિપનું કામ આ શૌચાલયોમાં આખા દિવસ દરમિયાન થતો વકરો સાંજે એકઠો કરી ઘરે લઇ જવાનું હતું.
પ્રદિપ નિત્યક્રમ મુજબ ૧૬/૧૧ના સાંજે પોતાના ઘરેથી બાઇક નં. જીજે૩જેએમ-૩૭૦૯ લઇને નીકળ્યો હતો. તે બધા શૌચાલય ખાતેથી રકમ ઉઘરાવી મોડામાં મોડો સાંજે આઠ-સવાઆઠે ઘરે પહોંચી જતો હતો. પરંતુ ૧૬મીએ તેણે પોતે થોડો મોડો આવશે તેવી વાત પિતાને સાંજે સાત-સાડાસાતે કરી હતી. પરંતુ રાતના અગિયાર સુધી તે ઘરે ન આવતાં પિતા અને બીજા ભાઇઓએ શોધખોળ આદરી હતી. ફોન પણ બંધ આવતો હતો. આથી પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં.
બીજા દિવસે એટલે કે ૧૭મીએ સવારે પ્રદિપ ગૂમ થયાની જાણ ભકિતનગર પોલીસમાં કરવામાં આવી હતી. કેમ કે છેલ્લે સાંજે તે શેઠ હાઇસ્કૂલ સામેના પોતાના કોન્ટ્રાકટ હેઠળના શૌચાલયે હોવાનું અને બાદમાં ગૂમ થયાનું તેના પરિવારજનોને જાણવા મળ્યું હતું. પોલીસે અને પરિવારજનોએ ઠેર-ઠેર પ્રદિપની શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ કોઇ પત્તો મળ્યો નહોતો.
બીજી તરફ ૧૮/૧૧ના રોજ આ શૌચાલયમાં બે વર્ષથી કામ કરતો કર્મચારી બિહારનો રાજૂ મિશ્રા પોતાની માતાની તબિયત સારી નથી, જેથી પોતે વતન જઇ રહ્યો છે તેમ કહીને રજા લઇને જતો રહ્યો હતો. રાજૂ સાથે બીજો એક શખ્સ પણ આ શૌચાલયની ઉપરના ભાગે જ આવેલી રૂમમાં રહેતો હતો. એ શખ્સ પણ ત્યારથી જોવા મળ્યો ન હોઇ પ્રદિપના પિતા રાજેન્દ્રભાઇએ રાજૂની જગ્યાએ મનોજ નામના કર્મચારીને આ શૌચાલયમાં કામે રાખી લીધો હતો.
આજે મનોજને બાજુની શેરીમાંથી કોઇ વ્યકિતએ શૌચાલયના બાથરૂમમાંથી અત્યંત દુર્ગંધ આવી રહી હોવાની જાણ કરતાં મનોજે બાથરૂમની ચાવી ટીંગાતી હોઇ ત્યાં તપાસ કરતાં ચાવી જોવા નહોતી મળી. આથી તેણે પ્રદિપના પિતા રાજેન્દ્રભાઇને વાત કરી હતી. તેણે આવીને પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી હતી અને તાળુ તોડીને જોતાં અંદર પ્રદિપની ઉંધી હાલતમાં લાશ જોવા મળતા સોૈ ચોંકી ગયા હતાં.
ડીસીપી રવિકુમાર સૈનીની રાહબરીમાં એસીપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજા, ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ કોડીયાતર તેમજ નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ, હિરેનભાઇ, ડી. સ્ટાફના પ્રકાશભાઇ, મહેન્દ્રસિંહ, ભાવેશભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, સલિમભાઇ સહિતનો કાફલો પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
લાશ જે રીતે કોહવાઇ ગઇ છે તે જોતાં ૧૬મીએ રાતે જ તેનું મોત થયાનું અનુમાન છે. માથાના ભાગેથી થોડા વાળ પણ લાશ કોહવાઇ જવાથી ખરી પડ્યા હતાં. બાથરૂમને બહારથી તાળુ મારી દેવામાં આવ્યું હોઇ અને કર્મચારી રાજૂ મિશ્રા સહિત બે શખ્સ ભેદી રીતે ગાયબ હોઇ આ બનાવ હત્યાનો જ હોવાની પોલીસને દ્રઢ શંકા છે. જો કે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ આગળ કાર્યવાહી થશે. પ્રદિપને કોઇ સાથે માથાકુટ નહિ હોવાનું તેના પિતા અને પરિવારજનો કહે છે. ત્યારે હત્યા શા માટે થઇ? હત્યામાં ગાયબ થયેલા રાજૂનો કોઇ હાથ છે કે કેમ? તે સહિતના સવાલો ઉકેલવા મથામણ થઇ રહી છે.