Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મીટ જાયેગા નામોનિશાન

જાણીતા નાટ્યકાર અને આકાશવાણીના પૂર્વ ઉદ્દઘોષક ભરત યાજ્ઞિકનો પ્રેરક સંદેશ : અત્યારે આપણે ડરવાનું નથી, વિશ્વમાં અગાઉ અનેક મહામારીઓ આવી હતી, કોરોનાથી પણ ખતરનાક હતી તેનો ઇલાજ થઇ ગયો તેમ કોરોનાનો પણ થઇ જ જશે

રાજકોટ,તા. ૨૦: શહેરના જાણીતા નાટયકાર અને આકાશવાણીના પૂર્વ ઉદ્દઘોષક ભરત યાજ્ઞિક કોરોનાની મહામારીના સમયમાં લોકોને આ મહામારીથી ગભરાયા વગર તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, આજકાલ સૌથી વધુ વપરાતો, અખબારોમાં છપાતો અને સૌને ભયભીત કરનારો એક શબ્દ છે,'કોરોના - કોવીડ - ૧૯'. અત્યારે જે રીતે આ મહામારી ચોતરફ - જગત આખામાં ફેલાયેલી છે તે જોતાં આપણને એમ લાગે કે આપણું ભવિષ્ય શું હશે ? કેવું હશે ? પરંતુ આ સમયમાં આપણે ડરવાનું નથી. આ અગાઉ પણ વિશ્વમાં આવી ઘણી મહામારી આવી ચૂકી છે, અને કદાચ કોરોના કરતાં પણ વધુ ખતરનાક હતી. એનો ઈલાજ પણ થઈ ગયો હતો. કોરોનાનો ઈલાજ પણ થશે જ.

આકાશવાણી ઉપરથી દર રવિવારે પ્રસારિત થયેલા 'કભી કભી'કાર્યક્રમ દ્વારા શ્રોતાઓના મન-હદય સુધી પહોચેલા ઉદ્દઘોષક ભરત યાજ્ઞિક તેમની આગવી શૈલીમાં વધુમાં જણાવે છે કે, 'કભી કભી'કે અનેક શ્રોતાઓકે સાથ રાજકોટવાસીઓ આપ સબ લોગ કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મિટ જાયેગા નામો નિશાન'.

કોરોનાના નામથી અને કામથી આપણે ભયભીત થવાની જરા પણ જરૂર નથી. કોરોના હજુ એક વર્ષનો પણ નથી થયો, અને આપણે તેને વધુ આયુષ્ય પણ નથી આપવું. આપણે સૌએ નક્કી કરવાનું છે કે આપણે તેની જીવન રેખાને ટૂંકાવી દેવી છે. આ માટે આપણે સૌએ સાવચેત રહેવાનું છે. સાવચેત રહીને આપણે આપણી જાતને, આપણા કુટુંબ - પરિવારને સૌને સુરક્ષિત રાખવાના છે.

આ માટે આપણે જયારે પણ બહાર નિકળીએ ત્યારે આપણા ચહેરા ઉપર માસ્ક અવશ્ય પહેરીએ. એના કારણે આપણે આપણું તો રક્ષણ કરીએ જ છીએ, પરંતુ આપણી સાથે વ્યવહારમાં આવતા તમામ લોકોનું પણ આપણે રક્ષણ કરી શકીએ છીએ. જો આપણે કોરોનાથી બચવા માટે સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાના પાલનની સાથે આટલું કરીશું તો 'હારશે કોરોના, જીતશે રાજકોટ'. 

(2:57 pm IST)