Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રઝાનગરમાં હુશેની જન્નતઃ ૫ર તાજીયા

૭૦થી વધુ સબીલ-દૂલદૂલ અને ૧૫ ડોલીસેજઃ પરંપરા મુજબ પોતપોતાના માતમમાં જ રહેશેઃ વિવિધ વિસ્તારોમાં નયનરમ્ય રોશનીઃ પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા

નહેરૂનગર-રઝાનગર ખાતે મહોરમ માસ નિમિતે તૈયાર કરાયેલ કલાત્મક તાજીયો તેમજ સુશોભીત સબીલ તસ્વીરમાં નજરે પડે છે

રાજકોટ, તા. ૨૦ :. રઝાનગર (જંગલેશ્વર)માં બનાવવામાં આવેલ ૫૨ તાજીયાના લાયસન્સ ભકિતનગર પો. સ્ટેશનની રાહબરીમાં ઈશ્યુ થયેલા છે. આ વિસ્તારની ૭૦થી વધુ સબીલો તથા દુલદુલ તથા ૧૫ઙ્ગડોલીસેજ આજે સાંજે ૬ વાગ્યે (તમામ તાજીયા) પોતપોતાના માતમમાં આવી જશે. આ અઢારમાં વર્ષે પણ પોતપોતાના માતમમાં જ રહેશે. જેથી તા. ૨૦-૯-૨૦૧૮ ગુરૂવારના રોજ શહીદોની યાદમાં બનાવવામાં આવેલ તાજીયા (રોજા-મુબારક) સબીલ વગેરે હુસેની જન્નતના દિદાર કરવા સમસ્ત રઝાનગરના મુસ્લિમ બીરાદરો દ્વારા રાજકોટની સમસ્ત ધર્મપ્રેમી જનતાને પધારવા અને ગમે હુશેનની યાદમાં સામીલ થવા આમંત્રણ પાઠવાયુ છે.

સમગ્ર રઝાનગરમાં દરેક હુસેની કમિટીના ભાઈઓ તરફથી સુંદર લાઈટ ડેકોરેશન કરીને સજાવેલ છે. જેમાં ગોકુલનગર, હશનશાહ પીરની દરગાહ પાસે સુંદર સુશોભીત ગેઈટ તથા લાઈટ ડેકોરેશન દેવપરા ૮૦ ફુટ રોડ પર ચિશ્તિયા ગ્રુપ દ્વારા ગોળ ગોળ ફરતા ઝુમર તેમજ ડેકોરેશન તવક્કલ ચોકમાં અલરઝા સોશ્યલ ગ્રુપ દ્વારા ઈલેકટ્રીક લેમ્પ તેમજ સુશોભીત મોટા ગેઈટ તથા અંકુર સોસાયટીમાં ઉમ્મતે - મુસ્તુફા મદ્રેસા કમિટી દ્વારા સુશોભન કરવામાં આવેલ છે. તેમજ રઝાનગર સોરઠીયા વે બ્રીજથી ૫૦ ફૂટના ઢાળીયેથી શરૂ કરીને એકતા કોલોની, શાળા નં. ૭૦, ગોકુલનગર, હુસેની ચોક, કનૈયા ચોક, બગદાદ ચોક, નુરાની ચોક, ચિશ્તિયા ચોક, જંગલેશ્વર હુશેની ચોકના ઢાળીયેથી તવક્કલ ચોક અને ત્યાંથી આઝાદ ચોક થઈ હઝરત બીલાલ ચોક, મ્યુ. આવાસ યોજનાના કવાર્ટર, અંકુર સોસાયટીથી ભવાની ચોક અને પ્રણામી ચોકથી મદ્રેસા-એ-રઝાને નૂર સુધી લાઈટ ડેકોરેશન અને વિવિધ સુશોભન દ્વારા સજાવેલ છબીલો અને આજ રાત્રે તમામ માતમમાં રહેતા તાજીયાના દિદાર કરવાનો અનેરો લ્હાવો છે.

સમગ્ર રઝાનગર વિસ્તારમાં આશરે ૭૦થી પણ વધુ ગ્રુપો દ્વારા પાણીપુરી, ચણા-બટેટા, ભેળ, રગડો, વડાપાંઉ, ખમણ ઢોંકણા, ભજીયા, ઘુઘરા, ફાફડી ગાંઠીયા વગેરે ખાણીપીણીના સ્ટોલો ફ્રી ન્યાઝના રૂપમાં વેજીટેરીયન નાસ્તા કોઈપણ જાતના ભેદભાવ વગર આપવામાં આવે છે.

તેમજ દૂધ કોલ્ડ્રીંકસ, સરબત, દૂધપાક, ગરમ દૂધ, ચા-કોફી, બોર્નવીટા વગેરે સાથે ગરમાગરમ કાવો તદ્દન ફ્રી હુશૈની ન્યાઝના રૂપમાં આપવામાં આવે છે.

તાજીયા જોવા આવતા ભાઈઓ-બહેનો માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા ગોઠવેલ છે. તે મુજબ (૧) ૮૦ ફુટ રોડ સોરઠીયા વે બ્રીજ તરફથી આવતા વાહનો માટે શાળા નંબર ૭૦ના મેદાનમાં પાકિંર્ગ વ્યવસ્થા. (ર) દેવપરા ૮૦ ફુટ રોડથી આવતા વાહનો માટે નિલકંઠ પાર્કના મેદાનમાં પાર્ક કરવા. (૩) નિલકંઠ ટોકીઝથી આગળ આવતા વાહનો હુશન શા પીરની દરગાહ પહેલાના ચોકમાં પાર્કિંગ વ્યવસ્થા છે. (૪) આહીરવાસ તથા હુડકો કવાર્ટર તરફથી આવતા વાહનો તથા ભવાની ચોક તરફથી આવતા વાહનો અંકુર સોસાયટી, બીલાલ ચોક, તેમજ ભવાની ચોક પાસે પાર્ક કરવાની વ્યવસ્થા છે. તો વાહનો પાર્ક કરીને ''હુશૈની જન્નત'' માં ભાગ લેવા નમ્ર અરજ છે.

તા. ૨૧ના શુક્રવારે પુરો દિવસ ખાસ કરીને સાંજે ૪ વાગ્યાથી રઝાનગરમાં હુશેની શાનમાં દિદાર કરવા આવતા તમામ શ્રધ્ધાળુ ભાઇ-બહેનોએ પોત-પોતાના વાહનો પાર્કિંગ કરીને જ વિસ્તારમાં પગપાળા આવવા હુશૈની ગમમાં સામીલ થવા સાથ અને સહકાર આપવા રહીમભાઇ સોરા (મો. ૯૮૨૫૩ ૫૮૯૧૨) હબીબભાઇ સમા રહેમાનભાઇ ડાકોરા, બાબુભાઇ વિસળ, બાબુભાઇ ઠેબા તથા સમસ્ત રઝાનગર (જંગલેશ્વર) વિસ્તારના મુસ્લિમ ભાઇઓ હાજીભાઇ ઓડીયો-અફઝલમેતર -રફીકભાઇ સવાણ દ્વારા જણાવાયું છે.

સાંજે ૮ વાગ્યાથી મહોરમ પર્વની પુર્ણાહુતી સુધી દેવપરા-નિલકંઠ પાર્ક ૮૦ ફુટ રોડને છેડે જંગલેશ્વર મેઇન રોડ પર ચિતરિયા ગૃપ દ્વારા નાત-શરીફનો ભવ્ય જલ્સો અને સલામી પેશ  કરવામાં  આવશે.

(2:53 pm IST)