Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

લુક એન લર્ન એ માત્ર પાઠશાળા, જૈનશાળા કે જ્ઞાનધામ જ નથી પરંતુ જિન શાસનનું ભવિષ્ય છેઃ પૂ.નમ્રમુનિ મ.સા

ડુંગર દરબાર ખાતે રાષ્ટ્રસંતના પાવન સાનિધ્યમાં લુક એન લર્ન જૈન જ્ઞાનધામના બાળકોનો બાલ ઉત્સવ સંપન્ન : નાના - નાના ભૂલકાઓએ પોતાની કલા દ્રારા જૈન દર્શનને ઉજાગર કર્યું: પૂ. ગુરૂદેવના શ્રીમુખે ઉવસગ્ગહંર સ્ત્રોતના ૧૧મા ચરણની જપ સાધના

   રાજકોટ : તા.૨૦,  ડુંગર દરબાર ખાતે રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.પ્રેરિત ચાલતા અનેક મિશનો પૈકીનું એક મીશન એટલે લુક એન લર્ન જૈન જ્ઞાન ધામના વિવિધ સેન્ટરોમાં જ્ઞાનાભ્યાસ કરતાં બાળકોનાં  'બાલોત્સવ ' નું સુંદર અદભૂત અને અવિસ્મરણીય આયોજન  ગઇકાલે રવિવારે થયેલું.

રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ,ઉપાશ્રયેથી વ્હેલી સવારના સોનેરી સૂર્યોદયે નાના - નાના ભૂલકાઓ પૂ.ગુરુદેવને '' અહો જિન શાસનમ્ અને જિનશાસનના જય જયકાર સાથે ડુંગર દરબાર ખાતે લઈ આવવામા આવેલ. માત્ર છ વર્ષના વિધાન મલયભાઈ કોઠારીએ ડુંગર દરબારમાં પૂ.ગુરુદેવને અનોખી અંદાજમાં આવકાર્યા હતાં. ''જય જયકારા, ગુરુદેવ દેના સાથ હમારા '' ના જયનાદથી હજારો બાળકોના પ્રચંડ જયઘોષથી ડુંગર દરબાર ગૂંજી અને ગાજી ઉઠેલ.

નાની - નાની બાલિકાઓએ પરીના રૂપમા આવી પૂ.ગુરુદેવને આવકારેલ. બાળકોએ વેલકમ નૃત્ય દ્રારા ગુરુદેવને આવકારેલ.ગોંડલ લુક એન લર્ન શાખા દ્રારા પ્લીઝ થેંક યુ,સોરીના ભાવો રજૂ કરેલ.રાજકોટ માસુમ અને મુરલીધર શાખા દ્રારા પોઝિટિવ ન્યુઝના જીવનમાં ઉપયોગિતા વિશ પ્રસ્તુતિ કરેલ. લુક એન લર્નની સ્ટુડન્ટ ધ્રુવી લાઠિયાએ જૈન જ્ઞાનધામમાં આવવાથી જીવનમાં થતા પરિવર્તન વર્ણવેલ. ધારા દીદી કોઠારીએ પોતાના ભાવો વ્યકત કરેલ. રાજકોટ પારસધામ સેન્ટર દ્રારા ' સદ્દગુરુ પરમાત્મા'ની પ્રસ્તુતિ કરેલ. નાના બાળકોનું પ્રિય પાત્ર ઝૂઝુનું પરફોમન્સ કરીને મોરલ વેલ્યુ સમજાવેલ. ત્યારબાદ પારસધામ સેન્ટર દ્રારા ''મારો જન્મ અહીંયા જ કેમ?'' તે સુંદર ભાવો વ્યકત કરેલ. જુનાગઢ સેન્ટર દ્રારા વિનય વિશ્વમાં કેટલો મહાન છે,નમે તે સૌને ગમેનો સંદેશ આપેલ. જામનગર L n L શાખાએ પરફોમન્સ દ્રારા 'ગુરુદેવ જામનગર પધારો' તેવા શુભ ભાવની અભિવ્યકિત કરેલ. આજરોજ મેઘરાજા પણ જાણે બાળકોની કલા જાણવા - માણવા અધીરા બન્યાં હોય તેવું દ્રશ્ય સર્જાયેલ. વરુણ દેવે વીજળીનો ચમકારો કરી જાણે આ બાલ ઉત્સવની તસવીર કેમેરામાં કેદ કરી દિવ્ય લોકમાં દર્શાવાના હોય તેવી પ્રતિતી થયેલ

બાલ ઉત્સવ મધ્યે મોદી સ્કૂલના રશ્મીભાઈ મોદી,ધોળકીયા સ્કૂલના જીતુભાઈ ધોળકીયા,નરેન્દ્ર કુંવરબા સ્કૂલ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર,મુકેશભાઈ મહેતા,માસૂમ સેન્ટરના કોઠારી પરીવાર,ઉન્નતિ સ્કૂલ વગેરે સેવાભાવીઓએ લુક એન લર્ન ચલાવવા પ્રિમાઈસીસ આપવા બદલ તેઓનુ અભિવાદન કરવામાં આવેલ. આગામી બકરી ઈદના દિવસે હજારો બકરીઓને અભયદાનમાં નિમિત્ત્। બનવા ગુરુદેવે આહવાન કરતાં જીવદયા પ્રેમી હિતેનભાઈ મહેતાએ છ લાખ રૂપિયા 'બકરી બચાવો અભિયાનમાં' અર્પણ કરેલ. સમારોહ મધ્યે લુક એન લર્નના બાળકો કે જેઓએ આગમવાણી કંઠસ્થ કરેલ તેવાં ભૂલકાઓનું જૈન અગ્રણી પ્રવિણભાઇ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, નિલેશભાઈ શાહ, વિરેશભાઈ ગોડા, શૈલેષભાઇ માંઉ, પરેશભાઈ સંઘાણી વગેરે અગ્રણીઓ દ્વારા  બહુમાન કરી બાળકોને બીરદાવવામાં આવેલ.

 પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સાહેબે મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના અગિયારમાં ચરણની જપ સાધના કરાવેલ. તૃતીય યુવા શિબિરના  શિબીરાર્થીઓને સંબોધતા પૂ.ગુરુદેવે ફરમાવ્યુ કે જીવનમાં સ્વાર્થી નહીં પરમાર્થી બનજો. સ્વાર્થી કદી પરમાત્માની યાદિમાં આવતો નથી. કામચલાઉ એડ્રેસ કાયમ બદલાતા રહે છે જયારે આત્માનું શાશ્વત સરનામું મોક્ષ છે. વધુમાં યુવાધનને સમજાવતા કહ્યું કે સંપતિનું દાન કદાચ ન આપી શકો તો શ્રમદાન, સમયદાન અને સેવાદાનમાં આત્માને જોડજો. હાથ-પગ અને હાર્ટ સાથે ચાલે તેને સેવા કહેવાય. બાલ ઉત્સવમાં ઉપસ્થિત ૯૦ ઉપરાંત લુક એન લર્નમાં સેવા આપતા દીદીઓએ ભાવો વ્યકત કરેલ.

બાલ ઉત્સવ અવસરે સંબોધતા પૂ.ગુરુદેવે કહ્યું કે લુક એન લર્ન એ માત્ર જૈન શાળા,પાઠશાળા જ નથી પરંતુ જિન શાસનનું ભવિષ્ય છે.L n L માં ભાવિના ભગવાનનું બીજારોપણ થઈ રહ્યું છે.આ બાળકોમાંથી જ કોઈ સાધુ કે સાધ્વીજી થશે તો કોઈ આત્મા પૂ.ડુંગર સિંહજી મ.સા.જેવા આચાર્ય પણ બની શકે તો કોઈ આજના આ બાળકો ભવિષ્યમાં શંખ,આનંદ અને કામદેવ જેવા શ્રાવકો પણ થશે.એટલે જ કહેવાય છે 'જે હોય લુક એન લર્નનો શિષ્ય તે હોય જિન શાસનનું ભવિષ્ય' અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ બાળકો લુક એન લર્નમાં જૈન ધર્મના સંસ્કારોથી ભાવિત થયા છે. દેશ -વિદેશમાં ૫૦હજાર ઉપરાંત ભૂલકાઓ વર્તમાનમાં અભ્યાસ કરી રહ્યાં છે. બાળકોને જૈન ધર્મના સંસ્કારોની સાથે - સાથે તેઓનો સર્વાંગી વિકાસ થાય, બાળકોના જ્ઞાન અભ્યાસની સાથે તેઓની અભિવ્યકિત પણ નીખરે, તેઓને દરેક પ્રકારનું પ્લેટફોર્મ મળી રહે તેવા લુક એન લર્નના હેતુઓ રહેલા છે.   કાર્યક્રમનું સંચાલન લુક એન લર્નના વિદ્યાર્થી સોમ્ય અને આયુષીએ કરેલ. રીધ્ધી દીદી લાઠીયાએ સંચાલનમાં સાથ આપેલ તથા ભકિતરસ નરેન્દ્રભાઈ વાણીગોતાએ વ્હાવેલ તેમ મનોજ ડેલીવાળાની યાદિમાં જણાવાયું છે.

(3:55 pm IST)