Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પ્રભુ મહાવીર કહે છે કે કરો આત્મા સાથે યોગ, મટી જાય અનંતા ભવ રોગ

કાલે વિશ્વ યોગ દિવસઃ પ્રભુ મહાવીરે યોગ વિશે શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું છે : જૈન ધર્મના સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે ક્રિયા- અનુષ્ઠાનો કરવાથી આધ્યાત્મિક સાથે આરોગ્ય પણ જળવાઈ રહે છે

સમગ્ર વિશ્વ ૨૧ જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવે છે.વિશ્વની પ્રત્યેક વ્યકિત નિરોગી,સ્વસ્થ અને દિર્ધાયુ ઈચ્છે છે,એ માટે લોકો યોગ તરફ વળ્યાં છે.મહાન વૈજ્ઞાનિક એવા પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના જૈનાગમ શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યુ કે ભૂએહિં જાણં પડિલેહ સાયં અર્થાત્ દરેક જીવાત્માને શાતા અને પોતાનું જીવન પ્રિય છે.જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે કરૂણાસાગર પ્રભુ મહાવીર જગતના સર્વ જીવોનું હિત ઈચ્છતા હતાં. તેઓએ મોક્ષમાં જતાં - જતાં પોતાની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬ માં અધ્યયનમાં સાધકોને સુંદર મજાનું સમય પત્રક આપી દિધું.આગમકાર ભગવંતોએ ''શ્રી આવશ્યક સૂત્ર'' એટલે કે પ્રતિક્રમણ સૂત્રની અણમોલ ભેટ આપી. સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન, કાઉસગ્ગ વગેરે ક્રિયા અને અનુષ્ઠાનો કરવાથી સહજ અને સરળ રીતે યોગ પણ થઈ જાય છે.

પરમાત્માએ શ્રી નંદી સૂત્રમાં યોગની પરીભાષા સમજાવતાં કહ્યું કે હાથ - પગ લાંબા - ટૂંકા કરવા કે શ્રાસ ઊંચો લેવો અને નીંચો મૂકવો તે નહીં પરંતુ મન,વચન અને કાયાને આત્મા સાથે જોડવા તેને યોગ કહેવાય. યોગને આત્મા સાથે જોડવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.પ્રતિલેખન કરીએ એટલે હાથનું હલન - ચલન થઈ જાય, સામાયિક, ચઉવીસંથો, વંદનાથી લઈને પચ્ચખાણ એમ છ આવશ્યકમાં આજ્ઞા સમયે ત્રણ વંદના કરવાની હોય છે.

નમોથ્થુણં સમયે ડાબો ઢીચણ અને માંગલિક સમયે જમણો ઢીચણ, ઉત્કૃષ્ટ વંદના સમયે તથા ખામણા સમયે એમ પ્રતિક્રમણમાં સમયાંતરે શરીરના વિવિધ અવયવોનું હલન - ચલન રહેતું હોય છે. કાઉસગ્ગ સમયે ધ્યાન થઈ જાય. એકદંરે પ્રભુએ નિર્દેશ કરેલી ક્રિયાઓ, અનષ્ઠાનો કરવાથી યોગ સુલભ બની જાય છે. આધ્યાત્મિક સાથે આરોગ્યનું પણ જતન થાય છે. મોંઘવારીના સમયમાં પણ દિર્ધા દ્રષ્ટિવંત પ્રભુ મહાવીર નિઃશૂલ્ક સેવા પૂરી પાડે છે. જ્ઞાન ક્રિયાંભ્યો મોક્ષ.સમયક્ જ્ઞાન સાથે ક્રિયા કરવાથી તેનું ફળ અજોડ મળે છે. પરમાત્માએ બતાવેલ માર્ગ તરફ ચાલીએ તો કયાંય યોગ કે જીમમાં જવાની જરૂર ન રહે.રોજ સવારે ઉઠીને તરત જ ચાર લોગસ્સનો કાઉસગ્ગ, દેવ - ગુરૂ અને ધર્મને ત્રણ - ત્રણ વંદના કરીએ એટલે સ્ફુર્તિ પણ આવી જાય અને પ્રભુનું સ્મરણ પણ થઈ જાય. જો કે લક્ષ તો એક માત્ર મોક્ષનુ જ હોવું જોઈએ. દેહને નહીં પરંતુ આત્માની ખેવના અને માવજત કરવાનું મહાપુરૂષોએ કહ્યું છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ તો શરીરને પણ શાતા રહે અને મન પણ સ્વસ્થ રહે.(૩૦.૧૦)

સંકલનઃ મનોજ ડેલીવાળા, રાજકોટ, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(3:48 pm IST)