Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

'નવરંગ' દ્વારા પર્યાવરણ જાગૃતિ બાઇક યાત્રા

બે દિવસમાં ૧૫૦ કિમી વિસ્તારમાં ૬૦ ગામોનો સંપર્ક થશેઃ રસ ધરાવતા લોકોને જોડાવા આમંત્રણ

વી.ડી.બાલા સાથે અર્જુન ડાંગર, કિશોર મકવાણા, હર્ષદ પટેલ, ઉર્વેશ પટેલ, ચીરાગ ધામેચા, અર્જુન આંબલિયા, કૌશિક સોની નજરે પડે છે.(તસ્વીર-પ્રિન્સ બગથરીયા)

રાજકોટ તા.૨૦: આ આકરા ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની ભયંકર કટોકટી થવા લાગી છે જયાં પીવાના પાણીની ખેંચ હોય ત્યાં ખેતીવાડી માટે પાણીની વાત કરવી અઘરી છે. પાણીની કટોકટરી કાયમી ધોરણે નિવારવાની હોય તો વરસાદી પાણી લોકો ભુગર્ભમાં ઉતારતા થાય તે ખુબ જરૂરી છે. પોતાના ખેતરના શેઢે એક સોસ ખાડો કરે તો વરસાદી પાણી નજીવા ખર્ચે જમીનમાં ઉતારી શકાય. સોષખાડો ૧૦*૧૦*૫ અથવા ૨૦*૨૦*૫ ફુટનો કરી શકાય. એક બાજુ સેવાઇ કરી હોય તો ભુલથી ખાડામાં કોઇ પડી જાય તો સહેલાઇથી નિકળી શકાય અને જયાં પણ નકામા થયેલા બોર હોય તે રીચાર્જ કરી શકાય અને નકામા કુવા પણ રીચાર્જ કરી શકાય.

વધુ વૃક્ષો વવાય તે માટે ખેડુતોને પ્રોત્સાહન પુરૂ પાડવું અને ચોમાસામાં તેની જરૂરીયાત મુજબના કલમી, બીન કલમી ફળાઉ રોપા રાહત દરે આપવા છે. ખેડુતોને પોતાના ગામ બેઠા જો રાહત દરે રોપા મળે તો થોડા તે જરૂરી વાવતા હોય છે. તેથી રાજકોટથી ભાણવડ (વાયાઃકાલાવડ-લાલપુર) સુધીની મોટર સાયકલ પર્યાવરણ યાત્રા તા.૫-૬-૨૦૧૯ થી તા.૬-૬-૨૦૧૯ સુધી કરવાની છે. જેમાં રસ્તાની બન્ને બાજુએ આવેલા ગામમાં પર્યાવરણ જાગૃતિની વિવિધ મુદા પર ચર્ચા થશે. કુલ ૬૦ ગામ અને ૧૫૦ કિ.મી.ની આ યાત્રામાં ૧-ટુકડીમાં બે-વ્યકિત હશે. ૧-ટુકડી સવારથી સાંજ સુધીમાં બે ગામની મુલાકાત લેશે. કુલ ૧૫-ટુકડીઓ ફરશે. પહેલી રાત લાલપુર ખાતે અને બીજી રાત ભાણવડ ખાતે રાત્રી રોકાણ રહેશે.પર્યાવરણ યાત્રા પહેલા આ રૂટ ઉપરના ગામોમાં જઇ પર્યાવરણ પ્રેમીઓ અને પ્રગતિશીલ ખેડૂતોને યાદી બનાવી પર્યાવરણ યાત્રા વખતે તેઓના સહકારથી ગામમાં નાના-નાના ગ્રુપ બનાવી પર્યાવરણનું કામ કેવી રીતે થઇ શકે તેની ચર્ચા કરીશું.

આ રૂટ ઉપર ૧૫૦૦૦ કલમી અને બીન કલમી ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ કરવાનું લક્ષ્યાંક છે. આ યાત્રા પુરી થયા બાદ તુરંત સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં એક તાલુકાથી બીજા તાલુકા સુધીની પર્યાવરણ યાત્રા કરી પર્યાવરણના કાર્યને બળ પુરૂ પાડવામાં આવશે. નીચે મુજબના મુદાની અમલવારી થાય તેવા પ્રયતનો કરવામાં આવશે.

(૧)રોપાની જરૂરીયાત (૨)સાપની વૈજ્ઞાનિક માહિતી (૩)પાણીનો કરકસર ભર્યો ઉપયોગ અને વરસાદી પાણી ધરતીમાં ઉતારવાની વિવિધ રીતો (૪)અંધશ્રધ્ધા નિવારણ (૫)વ્યસન મુકિત (૬)આપનું આરોગ્ય (૭)કપડાની થેલીનો વપરાશ વધારી પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવો (૮) વાડીએ ફરતે જીવંતવાડના ફાયદા (૯)ચકલી ઘર શા માટે (૧૦)તુલસી કયારો, કુવાર પાઠુ જેવા આયુર્વેદીક છોડનું વધુ વાવેતર (૧૧)બાળકોને વન-વગડામાં લઇ જવા (૧૨)જુના વૃક્ષો સાંચવવા (૧૩)ફટાકડાથી થતું  નુકશાન (૧૪)કુદરતી પીણાઓ (૧૫)માટીના પાણીના પરબ, ચણની ડીસ પક્ષીઓ માટે મુકવી (૧૬)જંક ફુડ અને ફાસ્ટ ફુડ બંધ કરવું (૧૭)આંગણે વાવો શાકભાજી (૧૮)સજીવ ખેતી (૧૯)પક્ષીઓ માટે ખતરના સેઢે એક લાઇન જુવાર અથવા બાજરાનું વાવેતર (૨૦)રકતદાન, ચક્ષુદાન અને અંગદાન (૨૧)શેરી રમતો રમાડો (૨૨)કઠોડનો ખોરાકમાં ઉપયોગ વધારો (૨૩)ભારતીય સંસ્કૃતિ મુજબ જીવો (૨૪)શેઢે સીતાફળી (૨૫)ફળીયામાં લીંબુ (૨૬)વાડીએ વડ (૨૭)પાદરમાં વડ (૨૮)સ્વચ્છતા (૨૯)દાતણનું મહત્વ (૩૦)લાઇટનો બીન જરૂરી ઉપયોગ બંધ કરવો (૩૧)સાદાઇથી સામાજીક પ્રસંગોની ઉજવણી કરીએ. બાઇક યાત્રા અંગે વધારે વિગતો માટે વી.ડી.બાલા મો.૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

(4:19 pm IST)