Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ઘંટેશ્વર પાસે મહાવીર એવન્યુમાં ત્રીજા માળેથી પટકાતાં ૩II વર્ષના પાર્થના પ્રાણ નીકળી ગયા

સોરઠીયા પ્રજાપતિ ફટાણીયા પરિવારમાં ગમગીનીઃ બારીમાં ગ્રીલ ન હોઇ અકસ્માત સર્જાયો

માસુમ પાર્થનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦: જામનગર રોડ પર એસઆરપી કેમ્પ સામે વર્ધમાનનગર મહાવીર એવન્યુમાં રહેતાં સોરઠીયા પ્રજાપતિ દંપતિનો ૩II વર્ષનો પુત્ર ત્રીજા માળે ફલેટમાં રમતાં-રમતાં બારીમાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ મહાવીર એવન્યુમાં ત્રીજા માળે રહેતાં ધીરજભાઇ (ધીરૂભાઇ) મનગભાઇ ફટાણીયાનો પુત્ર પાર્થ (ઉ.વ.૩II) સવારે મોટા ભાઇ ઓમ સાથે રમતો હતો ત્યારે બારી પાસે જતાં અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષયભાઇ ડાંગરે જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. હરપાલસિંહ તથા લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી. લાડકવાયાના મોતથી પિતા ધીરજભાઇ માતા રીટાબેન સહિતના કુટુંબીજનોમાં કલ્પાંત સર્જાયો છે.ધીરજભાઇ સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવે છે.

પુનિતનગરમાં હેતલે માનસિક બિમારીની દવા પી લીધી

રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ પુનિતનગર સતનામ સોસાયટીમાં રહેતી હેતલબેન ડાયા ભુંડીયા (ઉ.૨૪)એ માનસિક બિમારીની ટીકડી પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે તાલુકા પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી. જો કે દાખલ થયા બાદ તુર્ત જ હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી.

માયાણીમાં દેવેન્દ્રભાઇ બારૈયાએ લિકવીડ પીધું

બીજા બનાવમાં માયાણીનગર આવાસ કવાર્ટરમાં રહેતાં દેવેન્દ્રભાઇ બટુકભાઇ બારૈયા (ઉ.૪૦)એ કોઇ લિકવીડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(3:59 pm IST)