Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ભા.જ.પે શરૂ કર્યું સેવા અભિયાનઃ મારૂ પેજ કોરોના મુકતનો સંકલ્‍પ

શહેર ભાજપ કાર્યાલય ખાતે કોરોના સંદર્ભે તાકીદની બેઠક બોલાવાઇઃ માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરીઃ શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ ‘મારૂ પેજ કોરોના મુકત, મારૂ પેજ વેકસીન યુકત' સંકલ્‍પને સાકાર કરેઃ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ટેસ્‍ટીંગ બુથ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સેવાકીય વ્‍યવસ્‍થા સંભાળશે

રાજકોટ તા. ર૦: ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને રાજયના સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા મહા વેકસીન અભિયાન કાર્યરત છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે અને આ જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં અને ગુજરાત મ્‍યુનીસીપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ગોવીંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, ભાનુબેન બાબરીયાની ઉપસ્‍થિતિમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખની બેઠક યોજાયેલ હતી.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરીએ જણાવેલ કે હાલ સમગ્ર વિશ્‍વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે ત્‍યારે દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અને રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા કોરોના ને કાબુમાં લેવા એક પછી એક તાબડતોબ પગલા લેવાઇ રહ્યા છેઅને નકકર નિર્ણયો થકી કોરોના પર નિયંત્રણ લેવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને હાલાકી ન પડે તે માટે એક પછી એક સંવેદનશીલ નિર્ણય લેવાઇ રહ્યા છે ત્‍યારે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ‘‘મારૂ પેજ કોરોનામુકત, મારૂ પેજ વેકસીનયુકત'' અભિયાન કાર્યરત કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે શહેર ભાજપનો પ્રત્‍યેક્ષ કાર્યકર્તા ‘મારૂ પેજ કોરોનામુકત, મારૂ પેજ વેકસીનયુકત'ના સંકલ્‍પને સાકાર કરવા લોકોની વચ્‍ચે રહી પરીશ્રમની પરાકાષ્‍ઠા સર્જી અને જનસેવામાં સતત કાર્યરત રહે તે બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ. તેમજ આ તકે ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ અને અરવીંદ રૈયાણી દ્વારા કોરોના કાળમાં દર્દીને હાલકી ન ભોગવવી પડે તે માટે કાર્યરત કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યોની વિગત વર્ણવવામાં આવી હતી.

વધુ વિગતો આપતા તેઓએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ટેસ્‍ટીંગ બુથો જેમાં રૈયા ચોકડી, કે.કે.વી. હોલ, બાલાજી હોલ, ભકિતનગર સર્કલ, અંબા મંદિર, મવડી ચોકડી, આકાશવાણી ચોક, રામાપીર ચોક, સોરઠીયાવાડી, પાણીનો ઘોડો, સીવીલ હોસ્‍પિટલ, ચૌધરી હાઇસ્‍કુલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવાકીય વ્‍યવસ્‍થા સંભાળશે.

આ બેઠકની સંપૂર્ણ વ્‍યવસ્‍થા શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનીલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ.

(4:00 pm IST)