Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

સમરસ કોવિડના પાંચમા માળેથી મહિલાની મોતની છલાંગ

રાજકોટના મોરબી રોડ તિરૂપતિ સોસાયટીના નિરૂબેન ભલગામા (ઉ.વ.૫૩)નો ગઇકાલે જ પોઝિટિવ રિપોર્ટ આવતાં દાખલ કરાયા હતાં : વહેલી સવારે ચારેક વાગ્યે બાલ્કનીમાંથી કૂદી પડ્યાઃ અવાજ સાંભળી ડોકટર-સ્ટાફ દોડ્યોઃ ઘટના સ્થળે જ દમ તોડી દીધોઃ હતાશાથી પગલુ ભર્યાની શકયતા

મોતની છલાંગઃ સમરસ હોસ્ટેલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં ગઇકાલે જ કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલા મોરબી રોડ તિરૂપતી સોસાયટીના પ્રજાપતિ મહિલા નિરૂબેન ભલગામાએ પાંચમા માળેથી પડતું મુકી આપઘાત કરી લેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. તસ્વીરમાં ઘટના સ્થળ, સિવિલ હોસ્પિટલે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો તે દ્રશ્ય અને મૃતકના સ્વજનો અને પોલીસ સ્ટાફ જોઇ શકાય છે. ઇન્સેટ તસ્વીર નિરૂબેનની છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલ કે જે હાલમાં સમરસ કોવિડ હોસ્પિટલમાં તબદીલ થઇ છે અને કોરોનાના દર્દીઓને અહિ રાખી સારવાર કરવામાં આવે છે તેમાં ગઇકાલે જ કોરોનાથી સંક્રમિત થયેલા ૫૩ વર્ષના મહિલાને દાખલ કરવામાં આવ્યા હોઇ આજે વહેલી સવારે ચારેક વાગ્યે તેમણે પાંચમા માળે બાલ્કનીમાંથી પડતું મુકી દેતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. પોતે કોરોનામાંથી બહાર નહિ આવી શકે તેવી હતાશામાં કદાચ આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. આ સિવાય કોઇ કારણ તો નથી ને? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે આવેલી સમરસ કોવિડ હોસ્પિટલના પાંચ માળની બાલ્કનીમાંથી વહેલી સવારે ચારેક વાગ્યે કોરોના પોઝિટિવ દર્દી નીરૂબેન રમેશભાઇ ભલગામા (ઉ.વ.૫૩-રહે. તિરૂપતી સોસાયટી, મોરબી રોડ)એ બાલ્કનીમાંથી પડતું મુકી આપઘાત કરી લીધાની જાણ હોસ્પિટલના નાઇટ ડ્યુટીમાં રહેલા ડો. અંકુરભાઇ પટેલે કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ ખિરાણી અને અનુજભાઇ ડાંગરે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવા કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નીરૂબેન ભલગામાને ડાયાબીટીશની જુની બિમારી હતી. કેટલાક દિવસથી બિમાર પડતાં ગઇકાલે કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવતાં પોઝિટિવ જાહેર થતાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. ત્યાંથી સમરસ કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર થવાના કેસપેપર તૈયાર કરાવી પરિવારજનોએ તેમને ત્યાં દાખલ કર્યા હતાં. ગઇકાલે સાંજે જ તેમને અહિ દાખલ કરાયા હતાં. ત્યાં આજે વહેલી સવારે તેમણે પાંચમા માળેથી છલાંગ લગાવી મોત મેળવી લેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર નિરૂબેન ભલગામા (પ્રજાપતિ)ના પતિ રમેશભાઇને ઇંટોનો ભઠ્ઠો છે. આ પરિવાર મુળ મોરબીના સનાળાનો વતની છે. નીરૂબેનના માવતર  ટંકારા રહે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે સાત ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. બનાવને પગલે સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(11:35 am IST)