Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકે જૈનોના ચારેય ફિરકાઓની

સ્તવન સ્પર્ધા સંપન્નઃ ૬૦ મંડળોના ૩૦૦થી વધુ બહેનોએ ત્રિશલાનંદનના ગુણગાન ગાયા

શેઠ ઉપાશ્રય, શેઠ પૌષધશાળા પ્રેરીત સ્તવન સ્પર્ધાનું મનહર પ્લોટ સ્થા.સંઘ દ્વારા ૨૬મા વર્ષે સંકલન

રાજકોટઃ જૈનોના ૨૪માં તીર્થકર મહાવીર પ્રભુના જન્મકલ્યાણકે સમસ્ત રાજકોટના જૈન સમાજના મહિલા મંડળોના ૩૦૦થી વધુ બહેનોએ સ્તવન સ્પર્ધામાં ભાગ લીધેલ. સ્વ.વિજયાબેન માણેકચંદભાઈ શેઠ ઉપાશ્રય અને શેઠ પૌષધશાળા દ્વારા પ્રેરિત અને શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ સંકલિત તથા વિવિધ દાતાશ્રીઓની દિલેરીથી તથા શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘમાં ચૈત્ર માસની શાશ્વતી નવપદજીની આયંબિલ ઓળીની આરાધના કરાવવા અર્થે બિરાજમાન ગોંડલ સંપ્રદાયના પૂ.પ્રાણ રતિ ગિરી ગુરૂવર્યો એવમ વિશાળ પરિવાર ધારક પૂ.મુકત લીલમ ગુરૂણીના સુશિષ્યા અખંડ સેવા ભાવી પૂ.ભદ્રબાઈ મ.આદી ઠા.ના પરમ સાનિધ્યે સી.એમ.પૌષધશાળાના હોલમાં સ્તવન સ્પર્ધા ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયેલ હતી.

શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ સૌને આવકારેલ શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘના પ્રમુખ ડોલરભાઈ કોઠારીએ સ્વાગત કરેલ.

શહેરના ૬૦ જેટલા મહિલા મંડળના બહેનોએ ભકિતભાવ સભર ''વીર- ઓ- વીર મહાવીર'', ''સૌનાના પારણે પોઢયા રે ત્રિશલાના કુંવર'', ''પાયોજી મૈને શાસન રતન ધન પાયો'' અને ''જગને જગાડનાર પ્રભુજી પોઢિયા પારણે'' જેવા એક- એકથી ચઢિયાતા ઉત્કૃષ્ટ ભાવભકિતથી સ્તવન રજૂ કરી રમજટ બોલાવેલ હતી. નિર્ણાયક તરીકે શ્રી મધુકરભાઈ મહેતા, શ્રીમતી કલ્યાણીબેન વચ્છારાજાની અને શ્રીમતી રક્ષાબેન પોટાએ સેવા પ્રદાન કરીને પ્રથમ વિજેતા અજરામર કંકુ મહિલા મંડળ, દ્વિતીય વિજેતા ગીતગુર્જરી આરાધના મહિલા મંડળ, તૃતીય જય વિજય મહાવીર મંડળ, ચતુર્થ મનહર પ્લોટ શાંતિનાથ પુત્રવધુ મંડળને તથા પાંચમા અને છઠ્ઠા વિજેતા તરીકે સત્ય સુકૃત મહિલા મંડળ અને સુમતિનાથ પૂજા મહિલા મંડળને વિજેતા જાહરે કરેલ હતા.

વિજેતા મંડળોને પુરસ્કાર હેમલભાઈ પ્રવિણચંદ્ર મહેતા હ., શ્રીમતી પલ્લવીબેન મહેતા તરફથી જયારે ભાગ લેનાર ૩૦૦ બહેનોને કવર પૂ.રતીગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ, વરમોરા કંપનીની બે વોટર બોટલનો સેટ રાજુભાઈ શાહ કેસ્ટ્રોલવાળા તરફથી અને ત્રણ કાચના બાઉલનું આકર્ષણ ટીફીન દેવાંસી રીયાલીટીઝ પ્રા.લી. દર્શનભાઈ કિરીટભાઈ પારેખ તરફથી આપવામાં આવેલ વિજેતાઓને પુરસ્કાર ઈનામો કિરીટભાઈ રતીભાઈ દોશી, શ્રીમતી શોભાનાબેન કિરીટભાઈ પારેખ, રાજુભાઈ શાહ કેસ્ટ્રોલવાળા, સી.એમ.શેઠ, ડોલરભાઈ કોઠારી, અશોકભાઈ મોદી, મનુભાઈ અને બકુલભાઈ વીણાબેન શેઠ, સુલોચનાબેન ગાંધીના વરદ હસ્તે અપાયા હતા. પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા હાજર રહ્યા હતા.

સ્પર્ધા અંગે રાજુભાઈ શાહે આવતા વર્ષે ચૌવિહારની વ્યવસ્થા મારા તરફથી થશે તે તેમ જાહેર કરેલ.

સાધ્વીરત્ના પૂ.હેમાંશીબાઈ મ.એ માંગલીક ફરમાવી સૌને અભિનંદન સાથ શુભાષિશ પાઠવેલ. કાર્યક્રમનું સંચાલન ડોલરભાઈ કોઠારીએ કરેલ.

(4:01 pm IST)