Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રૂપિયો તૂટ્યો, પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે ચોકીદાર કયાં હતા?

મુખ્ય મુદ્દા ભુલાવીને લોકોને ભ્રમમાં નાખતો ભાજપ આ વખતે ભૂલાઈ જશે : અશોક ડાંગર

રાજકોટ, તા. ૨૦ : શહેરમાં એક જાહેરસભાને સંબોધતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું કે દેશની જનતાને ભ્રમમાં નાંખવાનું ભાજપને ફાવી ગયું છે. હું પણ ચોકીદાર સૂત્ર આપીને અને સાવ પાયા વગરના આક્ષેપ કરીને મુખ્ય અને સાચા મુદ્દા ભાજપે ભુલાવી દીધા છે. ચોકીદાર ફકત ચૂંટંણીના મંચ પર છે.દેશની સમસ્યાઓ જયારે સળગતી હતી અને બધા તો હજી ય જીવતા છે ત્યારે ખુદ વડાપ્રધાન અને એમની આ ચોકીદાર સેના કયાં ગઇ હતી એની કોઇને ખબર નથી. કોગ્રેસનો ચૂંટણી ઢંઢેરો હોય કે ચૂંટણીની જાહેરસભા હોય નેતાઓએ કયારેય મર્યાદા ઓળંગીને વાત નથી કરી અને પ્રજાના પ્રશ્ર્નને કેન્દ્રમાં રાખ્યા છે. ભાજપે મુખ્યમુદ્દાની કરી જ ન હોવાનું યાદીમાં જણાવાયું છે.

અશોકભાઈ યાદીમાં જણાવે છે કે સમગ્ર  દેશમાં નરેન્દ્ર મોદી કે અમિત શાહ જાય ત્યાં એક જ વાત કરે છે અમે ચોકીદાર છીએ. ચોકીદારોનું સંમેલન બોલાવે છે. નારા લગાવે છે. પણ જયારે ખરેખર ચોકીદારી કરવાની હતી ત્યારે એ કયાં ગયા હતા, નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે અક્ષરધામ પર આતંકી હુમલો થયો હતો. એનડીએની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે સંસદભવન પર હુમલો થયો હતો. પઠાણકોટ અને પુલવામા હુમલા પછી આપણા સૈન્યે જે કાર્યવાહી કરી એ ખુબ સરાહનીય હતી પણ આ હુમલા થઇ ગયા ત્યાં સુધી દેશના ચોકીદાર કયાં હતા,આનો જવાબ ભાજપ પાસે નથી.

અશોક ડાંગરે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું કે તરંગી નિર્ણય જેવી નોટબંધી લાગુ કરવામાં આવી અને આમ આદમી પરેશાન થયો, ઉદ્યોગપતિઓને લાભ થયો. કાળું નાણું બેન્કોમાં પર આવ્યું ત્યારે આ ચોકીદાર કયાં હતા. પાંચ વર્ષમાં ડોલરની સામે રૂપિયો કેટલો તળિયે ગયો, પેટ્રોલના ભાવ ૯૦ રૂપિયા થઇ ગયા ત્યારે ચોકીદાર કયાં ખોવાઇ ગયા હતા. કોંગ્રેસ પર પાયા વગરના આક્ષેપ કરવા એ તો એમની ટેવ છે. પણ પ્રજા થોડી એ બધું ભૂલશે, શિક્ષણ, પાણી, રોજગારી, મોઁઘવારી સહિતના મોચરે ભાજપની સરકાર નિષ્ફળ રહી છે . એટલે હવે એ મુખ્ય મુદ્દા ભૂલાવીને અન્ય વાતો કરી રહ્યા છે. પરંતુ આ વખતે લોકો ભરમાશે નહીં તેવું યાદીના અંતમાં જણાવ્યું છે.

(4:00 pm IST)