Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કાલાવડ રોડ સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિરે નુતન સિંહાસનનું ઉદ્ઘાટન

પૂ.પ્રમુખ સ્વામીએ કહેલું 'અહીં સંકલ્પસિધ્ધ હનુમાનજી બધાના સંકલ્પો પૂર્ણ કરશે': પૂ.અપૂર્વ સ્વામીના હસ્તે મહાઆરતીઃ જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દર્શનનો લાભ લીધો

રાજકોટઃ અહિંના કાલાવડ રોડ સ્થિત સંકલ્પસિદ્ઘ હનુમાનજી મંદિર હનુમાન જયંતીના શુભદિવસે ભાવિક-ભકતોના સંકલ્પપૂર્તિ કરતું નુતન સિંહાસન ઉદઘાટીત કરવામાં આવ્યું હતું. સાંજે મહાઆરતી, પ્રવચન-આશીર્વચન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

૨૧ વર્ષ પૂવ પૂ.પ્રમુખસ્વામી મહારાજે આ સંકલ્પસિદ્ઘ હનુમાનજીની પ્રતિષ્ઠા કરતા કહ્યું હતું કે, 'અહી સંકલ્પસિદ્ઘ હનુમાનજી બધાના સંકલ્પો પૂર્ણ કરશે.' આજે અહી ઉમટી પડેલા હજારો ભકતોની લાંબી કતારો આ વાતની સાક્ષી પૂરતી જણાતી હતી.    

આ પ્રસંગે શ્રી હનુમાન ચાલીસાપાઠનું પણ આયોજન થયું હતું. ભાવિકોએ શ્રી હનુમાનજીની વિશિષ્ટ પૂજનવિધિનો લાભ પ્રાપ્ત કર્યો હતો.  બી.એ.પી.એસ.ના વિદ્વાન વકતા  પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પ્રાસંગીક પ્રવચન કરેલ.

આ જન્મોત્સવમાં અતિથિવિશેષ તરીકે શહેર જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખત્રી, ઝોન-૨ ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા અને જગદીશભાઈ હરિયાણી વગેરેએ હનુમાનજીની પૂજનવિધિ-વંદનાનો લાભ લીધો હતો. સમગ્ર જન્મોત્સવ બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકર ઘનશ્યામસિંહ ઝાલા અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)