Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે ઉજવળ કારકીર્દીની તક : પુજીત ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રોબોધીની પરીક્ષા

રાજકોટ તા. ૨૦ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સમાજના પછાત તેમજ છેવાડાના વિસ્તારો માટે ચલાવાઇ રહેલ વિવિધ ૧૨ જેટલા સેવાકીય પ્રોજેકટ અંતર્ગત ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જેની આગામી પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ વિતરણ શરૂ કરાયુ છે.આ પ્રોજેકટ અંતર્ગત ધો.૭ માં સરકારી  કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેમણે ધો.૭ પ્રથમ સેમેસ્ટરમાં ૮૫% કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા એપ્રિલ માસમાં ચાણકય વિદ્યામંદિર, કરણપરા મેઇન રોડ, રાજકોટ ખાતે લેવાશે.પ્રવેશ પરીક્ષામાં સામેલ થવા માંગતા વિદ્યાર્થીઓએ તેમનું અરજીપત્રક પોતાની શાળા મારફત અથવા ડાયરેકટ ટ્રસ્ટ કાર્યાલયેથી મેળવી તા. ૩૧ માર્ચ  સુધીમાં પરત આપી જવાનું રહેશે.પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી તેઓને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી, ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે. તેમજ લાભાર્થી વિદ્યાર્થી માટે ટ્રસ્ટના બિલ્ડીંગમાં ગ્રુપ ટયુશનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.પ્રવેશ પરીક્ષા આપવા ઇચ્છુકોએ અરજીપત્રક મોડામાં મોડા ૩૧ માર્ચ સુધીમાં  ભરી આપવા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીની યાદીમાં જણાવાયુ છે. વિશેષ માહીતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ (૦૨૮૧- ૨૭૦૪૫૪૫) નો અથવા ટ્રસ્ટના કાર્યાલય 'કિલ્લોલ' ૧-મયુરનગર, મહાપાલીકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે

(4:46 pm IST)