Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પ્રેમમાં નિષ્ફળતા મળતાં સળગેલા વાંકાનેરના આફતાબ અને શાપરની હેતલે દમ તોડ્યો

ત્યકતા દલિત યુવતિ અને શાપરમાં મટન વેંચતા વાંકાનેરના ત્રણ સંતાનના પિતા મુસ્લિમ યુવાન વચ્ચે કેટલાક સમયથી પ્રેમસંબંધ બંધાયો હતોઃ એક નહિ થઇ શકાય તેમ લાગતાં પગલું

રાજકોટ તા. ૨૦: ધોરાજીના યુવાન સાથે છુટાછેડા લીધા બાદ શાપર વેરાવળમાં માતા-પિતા સાથે રહેતી દલિત ત્યકતા અને શાપરમાં મટનનો ધંધો કરતાં વાંકાનેરના ત્રણ સંતાનના પિતા એવા મુસ્લિમ યુવાને ગયા રવિવારે વાંકાનેર આરોગ્યનગરમાં પહેલા ફિનાઇલ-એસિડ પીધા બાદ જાત જલાવી લેતાં બંને ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં ગત સાંજે આફતાબે અને મોડી રાત્રે હેતલે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બંનેના મોત સાથે પ્રેમકહાનીનો કરૂણ અંત આવ્યો છે.

 શાપર વેરાવળ બુધ્ધનગરમાં રહેતી હેતલ પ્રવિણભાઇ વાઘેલા (ઉ.૨૮) અને વાંકાનેર આરોગ્યનગર-૫માં રહેતો આફતાબ રસુલભાઇ ખોખર (ઉ.૩૦) રવિવારે સાંજે આઠેક વાગ્યે વાંકાનેર આફતાબના ઘરે હતાં ત્યારે બંનેએ ફિનાઇલ-એસિડ પીધા બાદ રૂમ બંધ કરી પોતાના શરીરે કેરોસીન રેડી સજોડે અગ્નિસ્નાન કરી લેતાં બંને ગંભીર રીતે દાઝી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે આફતાબનું મોત નિપજ્યા પછી મોડી રાત્રે બારેક વાગ્યે હેતલે પણ દમ તોડી દેતાં બંનેના પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આફતાબ ચાર ભાઇમાં બીજો હતો અને તેના પત્નિનું નામ મેરૂનબેન છે. તેને સંતાનમાં  ૭ અને ૬ વર્ષની બે પુત્રી તથા પાંચ વર્ષનો  પુત્ર છે. જે હવે પિતા વિહોણા થઇ ગયા છે. આફતાબ કેટલાક સમયથી શાપર વેરાવળમાં મટનનો ધંધો કરતો હતો. જ્યારે હેતલના લગ્ન ધોરાજીના યુવાન સાથે તેની જ્ઞાતિમાં જ થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જો કે હાલમાં તે છુટાછેડા લઇ શાપર માતા-પિતા સાથે રહેતી હતી તેમજ કારખાનામાં કામ કરતી હતી. તેણીના માતા રેખાબેન પ્રવિણભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે હેતલ રવિવારે બપોરે દોઢ-બે વાગ્યે તે કામે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. સાંજ સુધી ઘરે ન આવતાં મેં તેને ફોન જોડતાં તણે અને આફતાબે ફિનાઇલ પી લીધા બાદ જાત જલાવી લીધાની ખબર પડી હતી. આફતાબ ત્રણ સંતાનનો પિતા હોઇ બંને એક નહિ થઇ શકે તેમ લાગતાં બંનેએ આ પગલું ભર્યુ હતું. બનાવથી બંનેના સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)

 

(11:44 am IST)