News of Thursday, 20th January 2022
રાજકોટ તા. ૧૯: રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન શ્રી એમ.વેંકેટેશનના અધ્યક્ષસ્થાને રાજકોટના સફાઈ કામદારોના પ્રશ્નો નિવારણ માટે જિલ્લા કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ, મ્યુ.કમિશ્નરશ્રી અમિત અરોરા સહિતના અધિકારીઓ અને સફાઇ કામદારો સાથે બેઠક મળી હતી.
આ બેઠક પૂર્વે શ્રી એમ. વેંકેટેશને કસ્તુરબા માર્ગ ઉપરના ગાર્ડનના વાલ્મિકી ઋષિની પ્રતિમાના દર્શન કર્યા હતા ત્યારબાદ સફાઈ કર્મચારીઓની ઠક્કર બાપાની કોલોની, જામનગર રોડ સ્થિત વાલ્મીકિ વાડીની મુલાકાત લીધી હતી. તેમના રજૂઆતો-પ્રશ્નો સાંભળ્યાં હતા. આ સાથે તેમણે સફાઈ કામદારોના પ્રશ્નોનો હલ કરવા માટે તત્પરતા દર્શાવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનશ્રીએ કોરોના સામે લડાઇમાં સફાઇ કામદારોનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કામદારોના પ્રશ્નોને પ્રત્યેક્ષ સાંભળીને તેનો હકારાત્મક નિકાલ થાય તે દિશામાં કાર્યરત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે.
સફાઈ કામદારોને અનુરોધ કરતા શ્રી વેંકેટેશને ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના આહવાનને સાકાર કરવા આપણા ગલ્લી, મહોલ્લા અને શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરવો જાઇએ. આપણું શહેર સ્વચ્છ હશે, તો નાગરિકો પણ સ્વસ્થ રહેશે. સરકારે આપણા શીરે સ્વચ્છતાની મોટી જવાબદારી સોંપી છે. જેને ખુબ ચોકસાઇથી પુર્ણ કરવીએ આપણી નૈતિક જવાબદારી છે. સાથો-સાથ તેઓશ્રીએ વાલ્મીકી સમાજના લોકોને સફાઇના કામથી વિપરીત અન્ય ક્ષેત્રમાં- આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું.
આ તકે સફાઇ કામદારના પી.એફ., લઘુતમ વેતનની જોગવાઇ, કોમ્યુનિટી હોલ, મેડીકલ રજા, આવાસ યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા જેવા પ્રશ્નો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સફાઇ વખતેની માસ્ક, ગ્લબ્સ સહિતની વસ્તુઓ કર્મચારીને પુરી પાડવા ઉપરાંત સફાઇ કર્મચારીઓનું રેગ્યુલર મેડીકલ ચેકઅપ થાય તેની કાળજી લેવા માટે શ્રી વેંકેટેશને જણાવ્યું હતું.
બેઠકના પુર્વે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેનશ્રીએ સફાઇ કર્મચારીઓની કોલોનીમાં પ્રત્યક્ષ મુલાકાત લઇ સફાઇ કર્મચારીઓની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ તેમણે કર્મચારીઓને ફરજ દરમ્યાનની કોઇપણ જાતની મુશ્કેલીઓને નિવારવા માટેની તત્પરતા દર્શાવી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન વાલ્મિકી સમાજના આગેવાન શ્રી મનોજભાઈ ટીમાણિયા, જલ્પેશભાઈ વાઘેલા, સરવનભાઈ ચૉહાન, હીરાભાઈ ધાવરી, જેનિભાઈ વાઘેલા, ધર્મેશભાઈ વાઘેલા, નગરસેવક પ્રવીણ ચાવડા, ધર્મગુરુ રામદાસ બાપુ, ડે. કમિશનર એ.કે સિંગ, નાયબ નિયામક, અનુ.જાતિ કલ્યાણ એન.કે.મિશ્રા, આસી. મેનેજર ડી.વી.માવદીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના ૯ સફાઈ કર્મચારીઓ કોરોનામાં અવસાન પામ્યા હતા તેથી તેમના વારસદારોને કાયમી નોકરીના ઓર્ડર આ તકે મહાનુભાવોના હસ્તે અપાયા હતા.
જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, મ્યુ.કમિ‘રશ્રી અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીના, નગરપાલિકા નિયામકશ્રી આશિષ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન ઠક્કર , સિવિલ સુપરિટેન્ડન ડો.રાધેશ્યામ ત્રિવેદી, ચિફ ઓફિસરશ્રીઓ સહિતના અધિકારીઓ અને અગ્રણી સફાઇ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.