Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ત્રણ વ્યાજખોરોથી ત્રાસી ઝેર પી લેનારા વિજયનગરના પટેલ કારખાનેદારનું મોત

લેઉવા પટેલ વિપુલભાઇ સતાણી (ઉ.૩૨)ના મોતથી બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ વિજયનગર-૩માં રહેતાં અને વિરાણી અઘાટમાં ન્યુ માટેલ ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનુ ધરાવતાં વિપુલભાઇ કાનજીભાઇ સતાણી (ઉ.૩૨) નામના લેઉવા પટેલ યુવાને ગઇકાલે બપોરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ત્રણ વ્યાજખોરોથી ત્રાસીને આ પગલું ભર્યાનું તેના ભાઇએ જણાવ્યું હતું.

આપઘાત કરનાર વિપુલભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના ભાઇ ચંદ્રેશભાઇ સતાણીએ જણાવ્યું હતું કે  બે-અઢી વર્ષ પહેલા વિપુલે ત્રણ લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જેમાં યુવરાજસિંહ પાસેથી ૧ાા લાખ ૧૦ ટકે, મહેશ પાસેથી ૧લાખ ૮ ટકે અને એક આહિર શખ્સ પાસેથી ૧ લાખ ૮ ટકે લીધા હતાં. ધંધાના કામ માટે આ રકમ લીધી હતી અને સતત બે વર્ષ સુધી ત્રણેયને નિયમીત વ્યાજ ચુકવ્યું હતું. પણ હાલમાં ચારેક મહિનાથી ધંધો ન ચાલતો હોઇ વ્યાજ ચુકવી ન શકતાં ત્રણેય શખ્સો દ્વારા વ્યાજની આકરી ઉઘરાણી થતી હોવાથી કંટાળીને વિપુલભાઇએ આ પગલું ભર્યુ છે. ભકિતનગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(3:52 pm IST)