Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

૨૦૨૫ સુધીમાં દેશમાં ૬૦ કરોડ લોકો કેન્સરના ભરડામાં સપડાઇ શકે છેઃ અવિનાશ કાકડે

કિસાન સેવા સંઘ દ્વારા જાગૃતિ અભિયાન ''વિષ મુકત ભોજન અને રોગ મુકત શરીર''

રાજકોટઃ તા.૧૯, ભેળસેળીયા ખોરાકથી અનેક  બિમારીઓને આમંત્રણ મળે છે. જો આમ જ ચાલ્યું તો આગામી ૨૦૨૫ સુધીમાં દેશમાં ૬૦ કરોડથી વધુ લોકો કેન્સરના ભરડામાં સપડાઇ શકે છે તેમ કિસાન સેવા સંઘના સ્થાપક અવિનાશ કાકડેએ જણાવ્યું હતુ. મહારાષ્ટ્રના આ ખેડૂતનો જીવનમાં એક જ ઉદેશ્ય છે કે વિષમુકત ભોજન અને રોગમુકત શરીર.

 ગુજરાતીમાં એક કહેવત છે કે 'નિરોગી  શરીરમાં નિરોગી મન રહે છે તથા અન્ન એવો ઓડકાર' આપણે જેવો ખોરાક શરીરમાં લઈએ છીએ તે મુજબની ધાતુઓનું શરીરમાં નિર્માણ થાય છે. વધુ નફો અને વધુ ઉપજની લાલચમાં આપણું અન્ન વિષયુકત બની ચુકયું છે. દાખલા તરીકે દેશમાં રોજ ૧૭ કરોડ લીટર દૂધ પેદા થાય છે. જેની સામે ૬૭ કરોડ લીટર દૂધ બજારમાં વેચાય છે ત્યારે સ્વાભાવિક છે કે વેચાતુ તમામ દૂધ અસલી દૂધ હોતું નથી. મોટાભાગે આપણે દૂધ ના નામે સિન્થેટીક અને કેમિકલયુક દ્રવ્યો શરીરમાં દાખલ કરી છે. આવી અન્ન, પાણી અને ખોરાક માં થઈ રહેલી ભેળસેળ સામે સમગ્ર ભારતભરમાં લોકજાગૃતિનું કામ કરવા કિસાન સેવા સંદ્ય મેદાનમાં આવ્યું છે.

મહારાષ્ટ્રના  ખેડૂત આગેવાન અને ખેડૂતો માટે જેઓએ જીવન સમર્પિત કર્યું છે તેવા અવિનાશ કાકડેના નેતૃત્વ હેઠળ આ અભિયાન દેશભરમાં ચાલુ કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય છે વિષ મુકત ભોજન અને રોગમુકત શરીર. આખા દેશમાં બિયારણની અંદર મિલાવટ કરવાનું કામ મોટાભાગે બે જગ્યાએ થાય છે કર્નાલ અને મૈસુર, દેશમાં લાખો ટન કૃષિ ઉત્પાદન પેદા કરીને આપણે તેને ભેળસેળીયા હવાલે છોડી દઈએ છીએ. અન્નમાં  ભેળસેળ થવાને કારણે આવનારા સમય માં ભારતમાં કેન્સર, બીપી, સુગર, નપુંસકતા જેવી બિમારીઓથી ૭૦ કરોડ લોકો પીડા ભોગવતા હશે તેવું ડબલ્યુએચઓના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવેલ.

ભેળસેળીયા સામે કામ લેવામાં આપણી સરકારો અને તેની મશીનરી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહેલ છે ત્યારે આવનારા સમયમાં લોકોએ જ આવા તત્વો સામે આંખ ઉંચી કરી ભેળસેળ મુકત અન્ન અને ખોરાક માટે આગળ આવવું પડશે. આ દિશામાં કિસાન સેવા સંદ્યના માધ્યમથી પ્રયાસો શરૃ કરવામાં આવ્યા છે. જે મુજબ કિસાન સેવા સંદ્યના કાર્યકરો ગામે ગામ જઈને લોકોને ઓર્ગેનિક ખેતીની બાબતમાં સમજ આપી રહ્યા છે. આ જ ઉપલક્ષ્ય માં અવિનાશ કાકડે મહારાષ્ટ્રથી હાલમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. તેના સેમિનાર સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં યોજાઈ રહ્યું છે. ગુજરાતમાંથી જતીન પટેલ, રાજેશ સખીયા અને વિમલ મણવર તેમની સાથે આ જાગૃતિ કાર્યમાં જોડાઈને ગુજરાતના ગામડાઓમાં હાલમાં વિષમુકત ભોજન અને રોગમુકત શરીર ની આહલેક જગાવી રહ્યા છે.

(4:45 pm IST)