Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કાલથી ગુજરાતમાં છૂટોછવાયો : સૌરાષ્ટ્રમાં રવિ-સોમ હળવાથી મધ્યમ વરસાદ પડશે

દેશભરમાં ચોમાસુ બેસી ગયુ : બંગાળની ખાડીવાળુ અપરએર સાયકલોનીક સરકયુલેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૫ જુલાઈ સુધીની આગાહી : તા.૨૦થી ૨૩ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા - હળવો - મધ્યમ અને કયાંક ભારે : ૨૫મીથી ફરી વાતાવરણ સુધરશે

રાજકોટ, તા. ૧૯ : છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ નબળુ હતું તેના કરતાં સુધારો આવ્યો છે. તા.૨૦ થી ૨૩ જુલાઈ સુધીમાં ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા - હળવો - મધ્યમ અને કયાંક ભારે તેમજ સૌરાષ્ટ્રમાં આવતા રવિ-સોમ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આજે પશ્ચિમ રાજસ્થાનના બાકીના ભાગોમાં ચોમાસુ બેસી ગયું. સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું હોય હવે ચોમાસુધરી અસ્તિત્વમાં આવે. ચોમાસુધરી હાલ ગંગાનગર, હિસાર, આગ્રા, સિદ્ધિ, દલોતગંજ અને ભુવનેશ્વરથી બંગાળની ખાડી સુધી લંબાય છે. જે હાલ નોર્મલ આસપાસ આવી ગઈ કહેવાય. હાલમાં એક નબળો ઓફસોર ટ્રફ કર્ણાટકથી કેરળ સુધી છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી.ના લેવલનું મધ્ય - પૂર્વ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના દરિયાકિનારા નજીક છે. ૫.૮ કિ.મી.ના લેવલે દક્ષિણ ભારત, ગોવા અને મહારાષ્ટ્ર સુધી એક બહોળુ સરકયુલેશન છે. અપરએર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ની ઉંચાઈવાળી મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને દક્ષિણ ઓરીસ્સા તેમજ ઉત્તર આંધ્ર આસપાસ છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ કરે છે.

બંગાળની ખાડીવાળુ અપરએર સાયકલોનીક સરકયુલેશન મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. જેથી આવતીકાલે તેલંગણા, મહારાષ્ટ્રના બોર્ડર પાસે પહોંચશે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ૩.૧ કિ.મી.ના લેવલના સુકા પવન ફૂંકાતા હતા. જે આવતીકાલ સાંજથી આ અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી પવનો પૂર્વ તરફથી ભેજવાળા ફૂંકાશે.

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે તા.૧૯ થી ૨૫ જુલાઈ દરમિયાન આગાહી કરતાં જણાવ્યુ છે કે, હાલમાં બંગાળની ખાડીના અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી આવતીકાલ સાંજથી ગુજરાતમાં વાતાવરણ સુધરશે. જેથી તા.૨૦ થી ૨૩ દરમિયાન ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા, હળવો, મધ્યમ અને કયાંક કયાંક ભારે વરસાદ પડશે. આ ભેજવાળા પવન સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થતા હોય તા.૨૧-૨૨ જુલાઈ (રવિ-સોમ) સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસેક દિવસથી વાતાવરણ નબળુ હતું તેના કરતાં સુધારો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં તા.૨૦ થી ૨૩ વાતાવરણ સારૂ છે. વરસાદના ચાન્સ છે. ફરી ૨૫મીથી વાતાવરણમાં સુધારો જોવા મળશે.

આગોતરૂ એંધાણ

રાજકોટ : નવું અપરએર સાયકલોનીક સરકયુલેશન બંગાળની ખાડી તરફ બનવાનું છે જે જમીન ઉપર આવ્યા બાદ યુરોપિયન મોડલ મુજબ લો પ્રેશર બને અને સાથોસાથ ચોમાસુધરીનો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવે તેવી શકયતા છે. જેથી તા.૨૬ થી ૩૧ દરમિયાન પણ વરસાદના રાઉન્ડની સંભાવના છે.

(3:01 pm IST)