Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

'કહ્યાગરી' રૂપાણી સરકારને કેન્દ્રનો તમાચોઃ રાજકોટને હાઈકોર્ટ બેચ માટે કોઈ હિલચાલ ન હોવાનો સાફ જવાબ

મોહનભાઈએ સંસદમાં અવાજ ઉઠાવ્યો પણ રાજ્ય સરકારની નબળાઈના કારણે મળ્યો નિરાશાજનક જવાબ

રાજકોટ, તા. ૧૯ :. ગુજરાતમાં પ્રભાવના અભાવથી ચાલતી મનાતી રૂપાણી સરકારને હાઈકોર્ટ બેચ બાબતે કેન્દ્ર સરકારે તમાચા રૂપ જવાબ આપ્યો છે. રાજકોટને હાઈકોર્ટ બેચ આપવા બાબતે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવેલ. અતારાંકીત પ્રશ્નના જવાબમાં ગઈકાલે કેન્દ્રના કાનૂન મંત્રાલયે સ્પષ્ટ જણાવેલ કે, હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં હાઈકોર્ટ બેચ સ્થાપિત કરવા માટે બધા પાસાઓ પૂર્ણ કરતો કોઈ પ્રસ્તાવ કેન્દ્રની વિચારણા માટે પડતર નથી.

કેન્દ્રના જવાબનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેચ આપવા માટે રાજ્ય સ્તરેથી જે કાર્યવાહી થવી જોઈએ તે થઈ નથી. કેન્દ્ર સરકાર દ્વારા આ દિશામાં કોઈ જ કાર્યવાહી ચાલતી નથી.

ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ આવેલી છે. સૌરાષ્ટ્રના કેસોનું મોટુ પ્રમાણ હાઈકોર્ટમાં રહે છે. ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે રાજકોટને હાઈકોર્ટ બેચ અપાવવાની અવારનવાર માગણી કરેલ. હવે રાજ્ય અને કેન્દ્ર બન્ને જગ્યાએ ભાજપની સરકાર છે છતાં રાજકોટને હાઈકોર્ટ બેચ અપાવવાના કોઈ પ્રયત્નો દેખાતા નથી. મુખ્યમંત્રી પોતે રાજકોટના છે અને રાજકોટ માટે વિશેષ લાગણી હોવાનો તેમનો દેખાવ રહ્યો છે છતાં હાઈકોર્ટ બેચ જેવા મહત્વના પ્રશ્ને તેમની ઉદાસી દેખાય છે. સાંસદને કાનૂન મંત્રાલયે આપેલો તાજો જવાબ નિરાશાજનક અને રાજ્ય સરકારની ઈચ્છા શકિત સામે સવાલ ઉભા કરનારો છે.

(3:35 pm IST)