Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા., ૧૯: રાજકોટ શહેરના મીલપરા વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાની સગીર વયની ૧પ વર્ષની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ ૪ અને ૬ મુજબની ફરીયાદ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી રવિ સામતભાઇ કરથીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને સેસન્સ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટ મીલપરા વિસ્તારના રહેવાસી એવા ભોગ બનનારના પિતાએ ગત તારીખ ૬-૪-ર૦૧૮ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ૧પ વર્ષની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવા અંગેની આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪ અને ૬ મુજબની ફરીયાદ આપેલ હતી.

આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી સેસન્સ કોર્ટમાં ગુજારેલ હતી. જે અન્વયે સેસન્સ કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ સેસન્સ કોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, જાહીદ એન.હિંગોરા, રણજીત બી.મકવાણા રોકાયેલા હતા.(૪.૧૩)

(4:10 pm IST)