Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રાજકોટ સોની બજારમાંથી બે બંગાળી ૧૬.૪૦ લાખનું સોનુ ચોરી છનનન

મનદિપભાઇ રાધનપરાની દૂકાનમાં તેર દિવસ પહેલા જ બંગાળના પાર્થ ઉર્ફ પ્રસન્નજીત અને બિશ્વજીતને કામે રખાયા'તાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: શહેરની સોની બજારમાંથી અવાર-નવાર અમુક બંગાળી કારીગરો સોની વેપારીએ દાગીના બનાવવા આપેલુ સોનુ લઇને રફુચક્કર થઇ જાય છે. મોટે ભાગે ફરિયાદો પણ થતી હોતી નથી. ત્યાં વધુ એક બનાવમાં સોની વેપારીએ કામ માટે રાખેલા બે બંગાળી શખ્સો રૂ. ૧૬,૪૦,૦૦૦નું સોનુ અને બુટી બઠ્ઠાવી ભાગી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. આ બંનેને હજુ તેર દિવસ પહેલા જ કામ પર રખાયા હતાં. જેમાં એક શખ્સે તો એક જ દિવસ કામ કર્યુ હતું.

બનાવ અંગે પોલીસે ભકિતનગર સર્કલ જયનાથ હોસ્પિટલ સામે મયુર પાર્ક ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટ ફલેટ નં. એફ-૨માં રહેતાં  અને સોની બજાર પીપળા શેરી શાંતિ કોમ્પલેક્ષમાં દુકાન નં. ૧૦૩માં બેસી સોની કામ કરતાં મનદિપ મનસુખભાઇ રાધનપરા (ઉ.૩૧) નામના સોની યુવાનની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના પાર્થ ઉર્ફ પ્રસન્નજીત ચક્રવર્તિ અને બિશ્વજીત ચક્રવર્તિ સામે આઇપીસી ૩૮૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

મનદીપ સોનીએ પોલીસને જણાવ્યું છે કે પોતાની દુકાનમાં બંને બંગાળી શખ્સ કારીગર તરીકે કામ કરતાં હતાં. આ સિવાય બાલકૃષ્ણભાઇ વાગડીયા પણ કામ કરે છે. ૧૩/૪ના બપોરે બાલકૃષ્ણભાઇ જમવા ગયા હતાં. સાંજે છએક વાગ્યે પોતે દૂકાને આવ્યા ત્યારે બે બંગાળી કારીગરો જોવા મળ્યા નહોતાં. તેને સવારે બે વેપારીઓ જયદિપભાઇ રાણપરા અને સંદિપભાઇ રાણપરાના દાગીના બનાવવાનું કામ સોંપી સોનુ અપાયું હતું. આ બંને જોવા મળતાં બાલકૃષ્ણભાઇને પુછતાં તેણે કહ્યું હતું કે પોતે બપોરે ત્રણ વાગ્યે જમીને આવ્યા ત્યારે શટર અડધુ ખુલ્લુ હતું અને દૂકાનમાં કોઇ નહોતું.

બંને બંગાળી કારીગર દૂકાન સામે જ અંસારીભાઇના મકાનમાં રહેતાં હોઇ ત્યાં જઇ પુછતાછ કરતાં તેણે બંને જમીને નીકળી ગયાનું કહ્યું હતું. બંનેના ફોન પણ બંધ આવતાં હતાં. દૂકાનમાં તપાસ કરતાં આ બંને પોતાને દાગીના માટે અપાયેલુ ૩૫૦ ગ્રામ સોનુ રૂ. ૧૧,૫૦,૦૦૦નુ઼ તથા ૧૫૦ ગ્રામની સોનાની બુટીઓ રૂ. ૪,૯૦,૦૦૦ની મળી કુલ રૂ. ૧૬,૪૦,૦૦૦નું સોનુ ગાયબ જણાયું હતું. તપાસ કરતાં આ બંને જ સોનુ ચોરીને જતાં રહ્યાની ખબર પડી હતી.

વેપારીએ બનાવ બન્યાના તેર દિવસ પહેલા જ રાજકોટના આલમ શેખની ઓળખાણથી કામે રાખ્યા હતાં. જેમાં બિશ્વજીત ચક્રવર્તિએ તો એક જ દિવસ કામ કર્યુ હતું. તેને એડવાન્સ પગારના ૩ હજાર પણ તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને આપ્યા હતાં. બનાવની જે તે વખતે પોલીસને પ્રાથમિક જાણ કરી હતી. વેપારીઓના સોનાનો હિસાબ કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે. ડી. વસાવા, પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમે તપાસ શરૂ કરી છે.

 

(12:15 pm IST)