Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નાનામવા આરએમસી કવાટરમાં ભંડુરીના નરેન્દ્ર કોળીનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોટામવામાં પરપ્રાંતીય મંગલભાઇએ પણ ફાંસો ખાઇ જીવ દીધો

રાજકોટ તા. ૧૯ : નાનામવા સર્કલ પાસે આરએમસી કવાર્ટરમાં ભંડુરી ગામના કોળી યુવાન અને મોટામવા ગામમાં ઓરડીમાં રહેતા ઓરીસાના પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.  મળતી વિગત મુજબ માળીયાહાટીનાના ભંડુરી ગામનો વતની હાલ રાજકોટ નાનામવા સર્કલ પાસે આરએમસી કવાર્ટર બ્લોક નં. ૧૮ કવાર્ટર નં. ૧૭૭૫માં રહેતા નરેન્દ્રભાઇ ગોવિંદભાઇ ચોરા (કોળી) (ઉ.વ.૨૯) નામના યુવાને ગઇકાલે કવાર્ટરમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં ૧૦૮ના તબીબ નિલેષભાઇએ તપાસ કરતા તેનુ મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જાણ કરતા તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી.વી.ખાંભલા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક નરેન્દ્રભાઇ ઘણા સમયથી રાજકોટમાં કારખાનામાં નોકરી કરતા હતા. તે બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતા. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આદરી હતી.

જ્યારે બીજા બનાવમાં મોટામવા ગામ માસુમ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટની બાજુમાં ઓરડીમાં રહેતા ઓરીસ્સાના મંગલભાઇ કુંડરભાઇ ભોય (ઉ.વ.૫૪)એ ગઇકાલે ઓરડીમાં કેબલ વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં તાલુકા પોલીસના પીએસઆઇ એસ.આર.વળવી તથા રાઇટર ફીરોઝભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક મંગલભાઇ સેન્ટીંગનું કામ કરતા હતા. તે ઘણા સમયથી રાજકોટમાં રહેતા હતા. તેણે કયાં કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ આદરી છે.

(3:57 pm IST)