Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રાજકોટ યાર્ડ સતત બીજા દિવસે પણ બંધ

યાર્ડના સતાધીશોની રજુઆતને પગલે જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તથા મ્યુનિસીપલ કમિશ્નરે સ્થળ પર મુલાકાત લઇ મીટીંગ યોજીઃ મચ્છરોનો ઉપદ્રવ નિવારવા યાર્ડમાં રોજ ફોગીંગ કરાશેઃ ગાંડી વેલને દુર કરવા મશીનરી વસાવાશેઃ બંધના પગલે યાર્ડને રોજની ૧૦ કરોડની નુકશાની : ખેડુતોની કફોડી હાલત

 

આજી-ર ડેમની મુલાકાત લેતા જીલ્લા કલેકટર રેમ્યા મોહન, જીલ્લા વિકાસ અધિકારી રાણાવાસીયા તથા મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલની ટીમ નજરે પડે છે. બીજી તસ્વીરમાં યાર્ડના પદાધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગની છે.

રાજકોટ, તા., ૧૯:  રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં આજે સતત બીજા દિવસે યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડી આક્રોશ વ્યકત કર્યો હતો. બીજી બાજુ યાર્ડના પદાધિકારીઓની રજુઆતને પગલે  જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તથા મ્યુનિસીપલ કમિશ્નરે સ્થળ પર મુલાકાત લઇ યાર્ડના પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી મચ્છરોનો ઉપદ્રવ દુર કરવા યાર્ડમાં  ફોગીંગ મશીન મુકવા અને આજી ડેમની ગાંડી વેલને દુર કરવા મશીનરી વસાવી યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા હતા. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને સોમવારથી હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા અફડાતફડી મચી ગઇ હતી.

દરમિયાન કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન આપ્યું છે. તે અંતર્ગત આજે બીજા દિવસે રાજકોટ યાર્ડ સજ્જડ બંધ રહેતા વિવિધ જણસીઓની હરરાજી અટકી પડી હતી. યાર્ડ બંધ રહેતા  રોજ દસ કરોડનું નુકશાન થઇ રહયું છે.

રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, યાર્ડની બાજુમાં આજીડેમમાં વેલના કારણે થતા મચ્છરોના ઉપદ્રવનો મામલે યાર્ડના પદાધિકારીઓ, વેપારીઓ, કમીશન એજન્ટો, ખેડુતો તથા મજુરોની રજુઆત બાદ કલેકટર શ્રી રેમ્યા મોહન, જીલ્લા વિકાસ અધિકારી રાણાવસીયા તથા મ્યુનિસીપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ,ઇેરીગેશન અને હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે આજી ડેમની મુલાકાત લીધી હતી અને બાદમાં બેડી યાર્ડ ખાતે યાર્ડના પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં મચ્છરોનો ઉપદ્રવ નિવારવા યાર્ડમાં તાકીદના ધોરણે ફોગીંગ મશીન મુકવામાં આવ્યા છે. તેમજ મચ્છરોના કાયમી ઉપદ્રવને દુર કરવા આજી-ર ડેમમાં ઉગી નીકળેલ ગાંડી વેલને દુર કરવા માટે રાજકોટ મહાનગર પાલીકા ટુંક સમયમાં જ જરૂરી મશીનરી વસાવી યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરશે.

દરમિયાન સતત બીજા દિવસે યાર્ડ બંધ રહેતા ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે.

(11:37 am IST)