Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ચોટીલાના મઘરીખડાના લવજી કોળીનો રાજકોટમાં સાળાના ઘરે આપઘાતઃ ઝેર પાઇ દીધાનો આક્ષેપ

રિસામણે બેઠેલી પત્નિને પોપટપરામાં સાળાના ઘરે તેડવા આવ્યો ત્યારે બનાવઃ ચાર સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: નાના ભાઇ દામજીએ બનાવ અંગે શંકા દર્શાવતા લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૯: ચોટીલાના મઘરીખડા ગામે રહેતાં લવજીભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.૩૨) નામના કોળી યુવાને રાજકોટ પોપટપરા મેઇન રોડ પર શ્રધ્ધા મેડિકલ સામે જનકભાઇ ભરવાડના ઘરમાં ભાડેથી રહેતાં પોતાના સાળા રમેશભાઇ દુધાભાઇ ચાવડાના ઘરે સાંજે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. રિસામણે આવેલી પત્નિ શોભનાને તે તેડવા આવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં ઝેર પી ગયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જો કે મૃતકના નાના ભાઇ દામજીભાઇ મકવાણાએ પોતાના ભાઇએ ઝેર જાતે નથી પીધું, પણ તેને ઝેર પાઇ દેવામાં આવ્યું છે...તેવો આક્ષેપ કરતાં પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

આપઘાત કરનાર લવજીભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો અને છોટાહાથીના ફેરા કરી ગુજરાન ચલાવતો હતો. લવજીભાઇને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેના ભાઇ દામજીભાઇના કહેવા મુજબ લવજીભાઇ અને ભાભી શોભનાબેન વચ્ચે માથાકુટ થતાં ભાભી ત્રણેક દિવસ પહેલા રાજકોટ પોપટપરામાં તેમના ભાઇ રમેશભાઇના ઘરે રિસામણે આવી ગયા હતાં. ગઇકાલે લવજીભાઇ તેને તેડવા આવ્યા ત્યારે આ ઘટના બની હતી.  પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતાં લવજીભાઇએ ઝેર પી લીધાનું પ્રાથમિક તારણ છે.

જો કે મૃતકના ભાઇએ આક્ષેપો કર્યા હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી પોલીસે તપાસ યથાવત રાખી છે. પી.એસ.આઇ. બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડી વિશેષ તપાસ કરે છે. બનાવથી ચાર માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)

(11:33 am IST)