Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દારૂની ટેવથી કંટાળી વછરાજનગરના ગોપાલ દેવીપૂજકે જિંદગી ટૂંકાવી લીધી

સાળો બોલાવવા આવ્યો ત્યારે લટકતો જોવા મળ્યોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ રણુજા મંદિર સામેના ભાગે ભુતનાથ મંદિર પાછળ વછરાજનગરમાં રહેતાં ગોપાલ રમેશભાઇ વાધેલીયા (ઉ.૨૭) નામના દેવીપૂજક યુવાને દારૂ પીવાની ટેવથી કંટાળી જઇ ઘરમાં લાકડાની આડી સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

રાત્રે પોણા નવેક વાગ્યે ગોપાલને જમવા બોલાવવા તેનો સાળો આવતાં ગોપાલ લટકતો જોવા મળ્યો હતો. ૧૦૮ને જાણ થતાં ઇએમટી રોહિતભાઇએ તેને મૃત જાહેર કર્યો હતો. કન્ટ્રોલ ઇન્ચાર્જ જે. કે. જાડેજા, બિપીન પટેલ સહિતે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ સી.એમ. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ગોપાલ બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજો હતો અને શાકભાજી, જીંજરા વેંચતો હતો. તેને સંતાનમાં એક પુત્ર મયુર છે. પત્નિનું નામ કંચન છે. દારૂ પીવાની ટેવથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(10:44 am IST)